સુરતમાં ધર્મ પરિવર્તન થતું હોવાની વાતે હોબાળો, હિન્દુ સંગઠનોએ નારેબાજી કરતાં વાતાવરણ ગરમાયું

સુરતના પાલ ભાઠામાં ધર્મ પરિવર્તન થતું હોવાની વાતે હોબાળો મચી ગયો હતો. ભાઠામાં આવેલા ગ્રીન સિટી કલબ હાઉસમાં ચાલતાં શાલોમ પરિવારના સ્નેહમિલન તેમજ સત્સંગ સંધ્યામાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની વાત વહેતી થઈ હતી. જેથી હિન્દુ સંગઠનો દોડી ગયા હતાં. જ્યાં નારેબાજી કરવામાં આવી હતી. જેથી વાતાવરણ ગરમાયું હતું. બાદમાં સમગ્ર મામલે પોલીસને બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃસુરતનો કોઝ વે 142 દિવસે ખુલ્લો મૂકાયો, રાંદેર-કતારગામના વાહનચાલકોનો ફેરો ઘટશે
નારેબાજી થઈ
પાલ ગ્રીન સિટી કલબ હાઉસમાં શામોલ ધર્મ સત્સંગ યોજવામાં આવ્યો હતો. જેમાં ધર્મ પરિવર્તન થતું હોવાથી વિહિપ, બજરંગ દળના કાર્યકરો પહોંચી ગયાં હતાં. ગ્રીન સિટીના રહીશોએ ખ્રિસ્તી મિશનરીના શામોલનો વિરોધ કર્યો હતો. જય શ્રી રામ, અહીં તમારું શુ કામ, હર..હર..મહાદેવ જેવા નારાઓ લાગતા વાતાવરણ ગરમાયુ હતું.
વક્તાને પોલીસ સ્ટેશન લઈ જવાયાં
શામોલ સત્સંગ માટે વડોદરાથી એક બસ અને દસેક કારમાં સત્સંગીઓનો કાફલો પહોંચ્યો હતો. હોલમાં સત્સંગ અને ગીત સંગીત સહિતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સત્સંગમાં આવેલાને બિરયાની પીરસતા જોઈ લોકો ભડકયા હતાં. જેથી હિન્દુ સંગઠનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં તેઓએ ઘટના સ્થળે પહોંચી હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી. વક્તા નિરંજન જોશીને પાલ પોલીસ મથક ખાતે લઈ જવાયા હતાં. હિન્દુ સંગઠનોએ કહ્યું કે, સત્સંગ સભાઓના નામે ધર્મ પરિવર્તનના કાર્યક્રમનો વિરોધ કરાશે.

