VIDEO: ઉધના સ્ટેશને મુસાફરો પરના લાઠીચાર્જ મુદ્દે રેલવેના ઈનકારથી ઉઠ્યા સવાલ, જુઓ DRMએ આ નિવેદન આપી કર્યો બચાવ
સુરતના ઉધના રેલવે સ્ટેશને ગઈકાલે જે ભાગદોડ અને હાલાકી થઈ હતી તેની ગુજરાત જ નહીં ભારત ભરમાં ટીકા થઈ રહી છે. સુરત રેલવે વિભાગ અને લાચાર લોકો પર લાઠીચાર્જ કરનાર પોલીસ તંત્ર પર પણ લોકો ભારે પસ્તાળ પાડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે મામલો થાળે પાડવા અને અને રેલવેની અને ગુજરાતની આબરૂ બચાવવા માટે આજે સોમવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે સુરતના ઉધના રેલવે સ્ટેશને દોડી આવ્યા હતા. અને ગઈકાલની ઘટના મુદ્દે રેલવે અને પોલીસ વિભાગ માટે જાણે વકીલાત કરી હતી.
પેસેન્જર પર લાઠીચાર્જ કર્યો નથી: પશ્ચિમ રેલવે
ગઇકાલે રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયો વતન તરફ જવા માટે મોટી સંખ્યામાં પહોંચી જતાં વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી હતી, ભારે ઉહાપોહ અને ભાગદોડ મચ્યા બાદ આજે સોમવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે સુરતના ઉધના રેલવે સ્ટેશનની મુલાકાતે હતા, જ્યાં તેમણે સુફિયાણી વાતો કરતાં ગઇકાલે બનેલી ઘટના પર ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારે ભીડને કારણે સર્જાયેલી તંગદિલી અને બાદમાં રેલવે પોલીસે કરેલા લાઠીચાર્જની વાતને તેમણે બીજા પાટે ચઢાવી દીધી હતી અને કહ્યું હતું કે ઘટનાના વીડિયો મેં જોયા છે, પોલીસ કોઈ પણ પેસેન્જર પર લાઠીચાર્જ કરી રહી નથી, RPFના જવાનો જે ડંડા ચલાવી રહ્યા હતા તે ફેન્સિંગ પર મારતા હતા, મુસાફરો પર નહીં.
ગાજવાને બદલે લાજવાની જરૂર
સવાલ એક જ છે કે કેમ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ છતાં યોગ્ય વ્યવસ્થામાં ઉણપ કેમ રહી ગઈ? સુવિધાના અભાવે કંટાળેલા મુસાફરો પર RPFના જવાનોનો લાઠીચાર્જ કેટલો યોગ્ય? કેમ લાઠીચાર્જના મુદ્દાને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર નકારી રહ્યા છે અને રેલવે પોલીસનો બચાવ કરી રહ્યા છે. ઘટના પર ગાજવાને બદલે લાજવાની જરૂર છે પણ અહીં તો રેલવે તંત્રના મોટા સાહેબો ઘટનાને સામાન્ય ચીતરતા હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે કહી રહ્યા છે કે જે નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે.
સવારે ચકલું પણ ન ફરક્યું હોય તેવા દ્રશ્યો
બીજી તરફ સવારે સામાન્ય દિવસની જેમ ઉધના રેલવે સ્ટેશન પર ગણ્યા ગાંઠ્યા મુસાફરો જ દેખાયા હતા. ગઈકાલે જ્યાં મુસાફરોની ચિક્કાર ભીડ અને ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો ત્યાં આજે નીરવ શાંતિ અને ચકલું પણ ન ફરકતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગઇકાલે મચી હતી અફરાતફરી
ગઇકાલે 19 એપ્રિલના રોજ ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશન પર પીવાના પાણીની પણ સુવિધા ન હતી. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા જોવા મળ્યા હતા. સુરતના ઉધના સ્ટેશન પર માત્ર ઉનાળું વેકેશનના કારણે જ ભીડ નથી, પરંતુ છેલ્લા એક-બે મહિનાથી LPG સિલિન્ડર સંકટને લઈને શ્રમિકો પલાયન કરી રહ્યા છે. ઉનાળું વેકેશન અને એલપીજી સંકટને લઈને મુસાફરોની સંખ્યા બેગણી થઈ ગઈ હતી.

