સુરતમાં જલારામ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ, લસકાણામાં શોભાયાત્રા, અન્નકૂટ સહિત ડાયરાનું આયોજન

સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતીની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી થશે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સુરતના લસકાણા ડાયમંડ નગર ખાતે આવેલા જલારામ ધામ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, મહા આરતી તેમજ સંતવાણી ડાયરો અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ભવ્ય ઉજવણી થશે
રામ નામ મે લીન હૈ દેખદ સબ મે રામ.. તાકે પદ વંદન કરું જય જય જલારામ.. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કારતક સુદ સાતમ 8 નવેમ્બર 2024 ના શુક્રવારના રોજ સુરત શહેરમાં જલારામ બાપાની 225મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે. કામરેજ લસકાણા મેઈન રોડ ડાયમંડ નગરની સામે આવેલા જલારામ ધામ મંદિરે જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે.
સવારથી જ વિશેષ કાર્યક્રમ થશે
જલારામ ધામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર શાંતાબેન દયાળજી ભાઈ કોટક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધનવાન ભાઈ કોટક અને પ્રમુખ મીનાબેન ધનવાન ભાઈ કોટકએ કહ્યું કે, જલારામ ધામ મંદિર ખાતે જલારામ બાપાની 225મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે. સવારે 10 વાગ્યે વરાછા રોડ હીરાબાગ પાસે આવેલી ઊર્મિ સોસાયટી ખાતેથી પાલખી શોભાયાત્રા નીકળશે જે જલારામ ધામ મંદિર લસકાણા પહોંચશે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાશે. આ ઉપરાંત મંદિર ખાતે સવારે 10 વાગ્યે પૂજા વિધિ, અન્નકૂટ દર્શન, સંધ્યા આરતી સાંજે 6.30 કલાકે અને રાતે 10 કલાકે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
મેડિકલ કેમ્પનું આયોજન
ધનવાનભાઈએ વધુમાં કહ્યું કે, સવારે 10 કલાકે ભોજન પ્રસાદ શરૂ થશે જે રાતે 12 વાગ્યા સુધી ચાલશે જલારામ બાપાના દર્શન કરવા અને ભોજન પ્રસાદ લેવા સર્વે સમાજના ભાવિક ભક્તોને હું આમંત્રણ પાઠવું છું, આ ઉપરાંત મંદિર ખાતે વિના મૂલ્યે ફ્રીમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જાતના દર્દીઓને ફ્રી માં તપાસ કરી આપવામાં આવશે અને શક્ય હોય એટલી મેડિકલ દવા પણ વિના મૂલ્યે આપવામાં આવશે અહી મોટી સંખ્યામાં ડોકટરો પણ ઉપસ્થિત રહેશે.

