સુરતની વિદ્યાર્થિની આપઘાતમાં ABVPનો વિરોધ, શાળા બહાર પ્રદર્શન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે (21 જાન્યુઆરી) આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
ધોરણ 8ની વિદ્યાર્થિની આપઘાત મામલે AVBP દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 14 વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હતી. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ શાળા બહાર પહોંચી ગયા છે.
કાર્યવાહીની માગ
એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી. સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ છે. બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થિની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવો પડ્યો તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માગ કરવામાં આવી રહી છે.

