Surat News: નર્મદ યુનિવર્સિટીના પદવીદાનની ફીમાં 8 ટકાનો વધારો, દાતા વિનાના કોર્સમાં પણ અપાશે મેડલ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓગષ્ટમાં યોજાનાર 57મા ખાસ પદવીદાનની તૈયારી શરૂ કરાઇ છે. પદવી મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા 1 જૂન 2025થી શરૂ થશે. આ નિર્ણય તાજેતરમાં યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવામાં આવ્યો છે.
તમામ ટોપરને મેડલ
આ વખતે પદવીદાન માટે ફીમાં પણ વધારો કરાયો છે. અગાઉ 300 રૂપિયા હતી તે હવે વધીને રૂ. 325 નિર્ધારિત કરવામાં આવી છે. ફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac.in પર ભરવાનું રહેશે. ઉલ્લેખનીય છેક દાતા ન હોય ત્યાં પણ હવે “યુનિવર્સિટી મેડલ” યુનિવર્સિટીએ ટોપર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવા દાતા ન ધરાવતા અભ્યાસક્રમોને પણ સમાવિષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
હીરક મહોત્સવ ચંદ્રક પણ અપાશે
અત્યાર સુધી આ અભ્યાસક્રમના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ મેડલથી વંચિત રહેતા હતા. હવે જ્યાં દાતાઓના મેડલ ઉપલબ્ધ નથી, ત્યાં તે અભ્યાસક્રમમાં સર્વોચ્ચ CGPA કે કુલ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને “હીરક મહોત્સવ ચંદ્રક” આપવામાં આવશે. આ મેડલ માટેનો ખર્ચ યુનિવર્સિટીના પરીક્ષા ફંડમાંથી આપવામાં આવશે. આ યોજના શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલમાં મૂકવાની ભલામણ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટે મંજૂરી આપી છે.

