Surat News: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી, પોલીસ કમિશનરે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
સુરત શહેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ ખાતે ભવ્ય રીતે યોજાઈ. આ પ્રસંગે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે ધ્વજ વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરી. શહેરના નાગરિકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો.
21 પોલીસ કર્મીઓનું સન્માન
કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પોતાના સંબોધનમાં કમિશનર અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું કે, વર્ષ દરમિયાન સુરત પોલીસે ઉત્તમ કામગીરી કરી છે અને ગુનાઓના ડિટેક્શનમાં અગ્રેસર રહી છે. રાષ્ટ્રપતિ દ્વારા સાર્થક કામગીરી બદલ ગુજરાતના 21 પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમાંથી 6 સુરતના છે.
22 કરોડ ફરિયાદીઓને પરત અપાવાયા
કમિશનરે ટ્રાફિક નિયમ અને હેલ્મેટ ઝુંબેશ અંગે જણાવ્યું કે, ગયા વર્ષે 15 ઑગસ્ટે ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા બાદ ઝુંબેશ શરૂ કરવામાં આવી, જેને જનતાએ સમર્થન આપ્યું. પરિણામે હેડ ઈન્જરીના કેસમાં 30 ટકા ઘટાડો થયો છે અને ફેટલ કેસ પણ ઘટ્યા છે.સાયબર ક્રાઇમ અંગે તેમણે જણાવ્યું કે, સુરત પોલીસ રાજ્યમાં સૌપ્રથમ વખત વિદેશમાં બેઠેલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં 22 કરોડ રૂપિયા ફરિયાદીઓને પરત અપાવાયા છે. જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને, તો તરત જ પોલીસનો સંપર્ક કરવાનો તેમણે અનુરોધ કર્યો.
ગ્રીન કોરિડોર કરાયો
કમિશનરે જણાવ્યું કે, સુરત પોલીસ પ્રજા વચ્ચે જઇને તેમની સમસ્યાઓ સાંભળે છે, જેના કારણે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટ્યું છે. શહેરમાં તમામ તહેવારો કોમી એકતાથી ઉજવાય છે. આજુબાજુના 8-9 ગામોના શહેરમાં વિલીનીકરણને ધ્યાનમાં રાખીને નવી પોલીસ ચોકીઓ અને સ્ટેશનો ખોલવા કામગીરી ચાલી રહી છે. ઈલીગલ ઘુસણખોરી પર પણ કાર્યવાહી થઈ રહી છે.અંતમાં, તેમણે જણાવ્યું કે, સુરત પોલીસ તહેવારોના સમયમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કટિબદ્ધ છે. અંગદાન પ્રત્યે જનજાગૃતિ માટે પણ પોલીસ કાર્યરત છે અને ગ્રીન કોરિડોરની સફળ કામગીરી બદલ ટ્રાફિક પોલીસને અભિનંદન પાઠવ્યા.

