દિવાળીની શુભકામનાના પોસ્ટર પર લખાયું 'ગદ્દાર', સુરતમાં લોકસભાની ચૂંટણીમાં ફોર્મ રદ્દ થતા નિલેશ કુંભાણી સામેનો વિરોધ યથાવત

લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ હતી. આ બેઠક બિનહરિફ જાહેર થતાં મુકેશ દલાલ વિના ચૂંટણીએ સાંસદ બની ગયા હતાં. ત્યારે કોંગ્રેસના મેન્ડેટ સાથેનું ફોર્મ રદ્દ થતાં નિલેશ કુંભાણી સામે જે તે વખતે જોવા મળતો વિરોધ હજુ પણ યથાવત હોવાનું સામે આવ્યું છે. દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરથી ગદ્દાર લખવામાં આવ્યું હતું.
કુંભાણીનો વિરોધ
નિલેશ કુંભાણીના પોસ્ટર પર કાળા અક્ષરે ગદ્દાર લખવામાં આવ્યું છે. રિક્ષા પર દિવાળીની શુભકામના આપતાં નિલેશ કુંભાણીના પોસ્ટર પર રાત્રિ દરમિયાન ગદ્દાર લખવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટએ કહ્યું કે, નિલેશ કુંભાણીએ કોંગ્રેસની સાથે સાથે સુરતના મતદારો સાથે દ્રોહ કર્યો હતો. જે લોકો ભુલ્યા નથી. જેથી આ પ્રકારે વિરોધ કરી રહ્યાં છે. તમામ શરમ નેવે મૂકનાર દલાલના દલાલ નિલેશ કુંભાણીનો વિરોધ થાય તેમાં કોઈએ નવાઈ પમાડવી જોઈએ નહીં.
નિલેશ કુંભાણીનો વિરોધ
પોસ્ટર પર લખાયેલા લખાણ અંગે પ્રતિક્રિયા આપતાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, હું મારા વતનના ગામમાં છું. સુરતમાં નથી. પોસ્ટર કદાચ મારી ઓફિસથી લગાવાયા હોય શકે છે. જેની મને જાણ નથી. સાથે જ પોસ્ટર પર વિરોધમાં જે લખાયું હોય તે અંગે હું કંઈ કહેવા માગતો નથી. જો કે, આ વખતે નિલેશ કુંભાણીના પોસ્ટરમાં કેસરીયો કલર વધુ હોવા અંગે તેણે કહ્યું કે, મને પોસ્ટર કે કલર કશી જ ખબર નથી.

