સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં વહેલી સવારથી લાગેલી આગ હજુ બેકાબૂ, 20થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ગઈકાલે મંગળવારે (25 ફેબ્રુઆરી) ભીષણ આગ લાગી હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી હતી. ઘટનાને પગલે 20થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું. જ્યારે આજે બુધવારે (26 ફેબ્રુઆરી) માર્કેટમાં ફરીથી લાગી હતી. જે હજુ સુધી ઓલાવવાની નામ નથી રહી. પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા ખરાબીના લીધે આગ લાગી હોવાની શક્યતા છે. માર્કેટના પહેલા માળે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી હતી. હાલમાં અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. બેકાબૂ બનેલી આગ પર કાબૂ મેળવવા 150 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. માર્કેટમાં લાગેલી ભયાનક આગને કારણે દુકાનદારોના માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
150 જેટલા ફાયર ફાઈટર એક્શનમાં
મળતી માહિતી મુજબ, સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આજે બુધાવારે (26 ફેબ્રુઆરી) વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે 150 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી અર્હી છે. ઓક્સિજન સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાય નથી. આ દુર્ઘટનામાં અનેક દુકાનો તથા માલસામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો. જેના લીધે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
'મારી દુકાન-ગોડાઉન બધુ ખતમ થઈ ગયું'
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીએ કહ્યું કે, 'કાલ આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આ પછી અમે તંત્રને કહ્યું હતું કે, અમને અમારી દુકાનમાં બધુ ચેક કરવા દો, હિસાબ કરવા દો... પરંતુ તેમને કશું લેવા દીધુ ન હતું. જ્યારે સવારે હવે ફરીથી આગ લાગી છે અને રોકાવાનું નામ નથી રહી. હવે હું બરબાદ થઈ ગયો. મારી દુકાન-ગોડાઉન બધુ ખતમ થઈ ગયું. માર્કેટમાં કોઈ સેફ્ટી નથી. પાણીની અછત છે.'
25 ફેબ્રુઆરીએ બની હતી આગ દુર્ઘટના
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે 20થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

