સુરતની AMNS કંપનીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, મૃતકના પરિવારે કહ્યું- અમારાથી દુર્ઘટના છૂપાવવા કરાયો પ્રયાસ

સુરતના હજીરામાં આવેલી AMNSના સ્ટીલ પ્લાન્ટમાં 31ફર્સ્ટની સંધ્યાએ આગની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા. જેથી મૃતકના પરિવારજનોએ કંપનીની સિક્યુરિટીના મુદ્દે સવાલો ઉભા કરતાં કહ્યું કે, આ દુર્ઘટના બની હોવા છતા મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલ પર એકઠા થયેલા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતાં.
પોટલામાં મૃતદેહો લવાયા
હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાના અરસામાં દુર્ઘટનાનો બનાવ બન્યો હતો. આગમાં ચારેય કામદારો એટલા દાઝી ગયા હતા કે, પોટલા વાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. કંપની દ્વારા ચારેય મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ઘટનાના ચાર કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા. મૃતકના સ્વજને કહ્યું હતું કે, કંપનીને મૃતકોના નામ ખબર પડી તો પછી અમારા નંબર કેમ ન મળ્યા?
કંપનીએ અમને જાણ ન કરી-સ્વજનો
જિગ્નેશ પારેખ નામના કામદારના બહેને આક્ષેપ સાથે કહ્યું કે, અમને કંઈ જાણ નથી. અમને કોઈ માહિતી મળી નથી. કોઈ માણસ પણ અહીં નથી.કંપનીને મૃતકના નામ મળી ગયા તો પછી પરિવારના કોન્ટેક્ટ નંબર કેમ ન મળ્યા? અમને ન્યાય જોઈએ. ત્યાં બીજા કામદારો તો હશે ને તો તેઓને અહીં લાવો અને અમને સાચી માહિતી અપાવો. આટલી મોટી કંપનીમાં કોઈ સેફ્ટી નથી કે શું? તેવા સવાલો તેણીએ ઉભા કર્યા હતાં.

