સુરતના નાસિરનગરમાં ડિમોલિશન મામલો; મનપા કમિશ્નરને એફિડેવિટ દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ

સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શનને પડકારતી અરજીમાં દાવો કર્યો કે નાસિરનગરમાં ડિમોલિશનની કાર્યવાહી તેમણે SMC કમિશ્નરના આદેશ અને તેમના દ્વારા ફોરવર્ડ કરાયેલા મેસેજના આધારે જ કરી હતી.
અરજદારે આ દાવાને સમર્થન આપવા કમિશ્નર સાથે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા. સાથે જ તપાસ સમિતિ સમક્ષ પણ આ જ હકીકત રજૂ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ કમિશ્નરે સંબંધિત મેસેજ ફોરવર્ડ કર્યો હોવાનું જણાય છે. કોર્ટે સમગ્ર મામલે SMC કમિશ્નરને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અરજદારે પોતાનું સસ્પેન્શન રદ કરવાની માંગ કરી છે. હવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 21 જુલાઈએ હાથ ધરવામાં આવશે, જ્યાં કોર્ટ કમિશ્નરના જવાબ અને અન્ય દસ્તાવેજોના આધારે આગળની કાર્યવાહી કરશે.

