સુરતની શિવશક્તિ માર્કેટમાં આગમાં મોતને ભેટેલા વેપારી ભૂલાયા, દીકરીએ પેન્ટના આધારે ઓળખ્યો મૃતદેહ

સુરતના રિંગરોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટની આગમાં વેપારીઓના કરોડો રૂપિયાનો સામાન કોલસો બન્યો છે. પરંતુ આ આગામાં એક વેપારીનું મોત પણ થયું હતું. સૌ પ્રથમ બેઝમેન્ટમાં લાગેલી આગના ધુમાડાના ગૂંગળામણથી વેપારી મહેન્દ્ર જૈનનું મોત થયું હતું. આગ લાગ્યાના બીજા દિવસે મૃતકની દીકરીએ આરસી બૂક અને પેન્ટના કલર પરથી પિતાના મૃતદેહને ઓળખ્યો હતો.
બધા જ વિસરી ગયા
શિવશક્તિ માર્કેટની આગમાં મૃતક મહેન્દ્ર ભાઈ ભુલાયા છે. કાપડ ઉદ્યોગની સંસ્થા ફોસ્ટા, ફોગવા, મહેન્દ્રભાઈના પરિવારને ભૂલ્યા છે. મેયર,કોર્પોરેટર, MLA અને મંત્રી પણ મહેન્દ્રભાઈને ભૂલ્યા છે. મહેન્દ્રભાઈ માત્ર 15 દિવસ અગાઉ નોકરી પર લાગ્યા હતા. સતત 10 દિવસથી રાબેતા મુજબ કામ પર જતા હતા. મહેન્દ્રભાઈએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ધુમાડો વધારે હોવાથી ગુંગળામણથી મોત નીપજ્યું હતું.
મૃતદેહની માંડ ઓળખ થઈ
પખવાડીયા અગાઉ નોકરી પર લાગેલા મહેન્દ્રભાઈ સવારે નીકળેલા જ્યારે પરત શબવાહીનીમાં પરત ફર્યા હતાં. પત્ની,એક પુત્ર અને પુત્રીનો પરિવારમાં સમાવેશ થાય છે. પરિવારે આર્થિક આધારસ્તંભ ગુમાવ્યો છે. પરિવારના સભ્યોએ મહેન્દ્રભાઈના પેન્ટ પરથી મૃત દેહ ઓળખ્યો હતો. મહેન્દ્રભાઈ રાજસ્થાનના જાલોર જિલ્લાના અકોલે ગામના વતની હતાં.

