મનોદિવ્યાંગ સગીરાને પીંખનારને સડશે સળિયા પાછળ, કોર્ટે નરાધમને ફટકારી 20 વર્ષની સજા

સુરતમાં બાળકો અને સગીરાઓ પર બળજબરી કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લિંબાયતમાં મનોદિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આકરી સજા ફટકારી છે. ઘર નજીક રહેતા નરાધમ યુવકને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
સ્કૂટર પર લઈ ગયો હતો
ગત તા. 18 જુલાઈ 2022ના રોજ સગીર દિકરી પોતાના ઘરની બાલ્કનીમાં ઉભી હતી. ત્યારે તેમના ઘર નજીક રહેતો 27 વર્ષીય યુવક સગીરાના ઘર પાસે આવ્યો હતો. ત્યાર બાદ સગીરાને ઈશારો કરી પોતાની પાસે બોલાવી પોતાની સ્કૂટર ઉપર બળજબરીથી બેસાડીને લિંબાયત સ્કાય-9 એપાર્ટમેન્ટ સાઈનાથ ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ જઈને માનસિક દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
દંડ સાથે સજા
નરાધમે સગીરાને કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક મંદિર પાસે છોડીને ફરાર થઈ ગયો હતો. આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો સહિતનો ગુનો નોંધાયો હતો. આ કેસની કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી. કોર્ટે આરોપી યુવકને આ ગુનામાં કસુરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 15000નો દંડ કર્યો હતો. સાથે ભોગ બનનાર સગીરાને 5 લાખ ચુકવવા પણ આદેશ કર્યો હતો.

