Surat News: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી, 479 કરોડના કામોની ભેટ

સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વનબંધુઓને વિશ્વબંધુ બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને ચરિતાર્થ કર્યો છે. રાજ્ય સરકારે હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના ૫૩ તાલુકામાં આદિવાસી સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો છે.
2522 વિકાસકામોી ભેટ
માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં અમલીકૃત વિવિધ યોજનાઓમાં રૂ.૨૭૮ કરોડના ૧૨૪૦ વિકાસકામોનું ખાતમુહુર્ત તથા રૂ.૨૦૦ કરોડના ૧૨૮૨ કામોનું લોકાર્પણ કરી કુલ રૂ.૪૭૯ કરોડના ૨૫૨૨ વિકાસકામોની ભેટ આપી હતી. સાથોસાથ રાજ્યના ૬,૨૦,૮૪૬ આદિજાતિ લાભાર્થીઓને રૂ.૧૨૫ કરોડના વ્યક્તિલક્ષી યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું. તેમણે આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભ અને કીટ વિતરણ તેમજ રમતગમતમાં વિશેષ સિદ્ધિ મેળવનાર રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીને રાખડી બંધાઈ
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનના અવસરે આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી ભાવવંદના કરી હતી. તેમણે માંડવીના આદિજાતિ ચૌધરી પરિવાર સાથે બપોરનું ભોજન લીધું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૧ થી સ્વાતંત્ર્યવીર અને આદિવાસીઓના ભગવાન બિરસાની સ્મૃતિમાં દર વર્ષે ૧૫ નવેમ્બરને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી આદિજાતિ અસ્મિતાને ગૌરવ અપાવ્યું છે. વર્તમાન વર્ષ ૨૦૨૫માં સમગ્ર દેશમાં તેમની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે રાજ્યમાં આ માત્ર ઔપચારિક ઉજવણી નહીં, પણ આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બની રહી છે.
બિરસાએ બલિદાન આપ્યું
દેશની સ્વતંત્રતા અને આદિવાસી સમાજના હકો માટે બ્રિટિશ શાસન સામે સંઘર્ષ કરનાર ભગવાન બિરસા મુંડાને ભાવપૂર્વક વંદન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિવાસી સમાજના ઉદ્ધારક ભગવાન બિરસા મુંડાના કાર્ય અને બલિદાનને કારણે આજે પણ તેમને આદિવાસી સમુદાય દ્વારા 'ધરતી આબા' એટલે કે ‘પૃથ્વીના પિતા’ અને ‘ભગવાન’ તરીકે પૂજવામાં આવે છે. દેશના મહાન સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા એવા ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓના જમીન અને જંગલના અધિકારો માટે અંગ્રેજ શાસન સામે 'ઉલગુલાન' (મહાન આંદોલન) નામનો સશસ્ત્ર વિદ્રોહ કર્યો હતો અને 'અબુઆ દિશુમ.. અબુઆ રાજ...' એટલે કે, 'આપણો દેશ, આપણું રાજ'ના બુલંદ નારા સાથે આદિજાતિઓમાં ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા. ભગવાન બિરસાની લડત અને માત્ર ૨૫ વર્ષની વયે આપેલું બલિદાન ભારતના આદિવાસી સમુદાયોના મહાન ક્રાંતિકારીઓની ઈતિહાસગાથાનું એક સોનેરી પૃષ્ઠ છે એનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાને સ્મરણાંજલિ અર્પી હતી.

