સુરતમાં ધો.8ની વિદ્યાર્થિનીનો આપઘાત, ફી ન ભરી શકતા શાળા સંચાલકોએ 2 દિવસ કરી હતી હેરાન

સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થિની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. ફી નહી ભરવાને લઇને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી.
શાળાનું દબાણ
ધોરણ 8 અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અનેક વખત ખરાબ વહેવાર બાદ દબાણ કરતા હતા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે કે, શાળાના કારણે તેમણે પોતાની વ્હાલી દીકરીને ગુમાવવી પડી છે.
પરિવારની ન્યાયની માગ
મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે, મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી. ઘરે રડતાં રડતાં આવી હતી. બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો. એક મહિનામાં ફી ભરી દેવા કહ્યું હતું. મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી નહોતી. અમે કામ પર ગયા હતાં. એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો. અમારી એક જ માગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ.

