સુરતમાં પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ મળતાં બજરંગ દળ અને VHPએ કર્યો વિરોધ

સુરતમાં રસ્તામાં અથવા નડતર રૂપ મંદિરને હટાવવા હાઇકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ, વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા હતાં. સુરત કલેકટરને આવેદનપત્ર આપીને આ નિર્ણય પરત લેવા માંગ કરી છે. નિર્ણય પરત નહિ લેવાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર કચેરીના પટાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી.
પૌરાણિક મંદિર પહેલા મજારો હટાવો-બજરંગ દળ
બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સુરત પાલિકાની હદ્દમાં આવતાં પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ. મજારો હટશે પછી જ મંદિરો હટશે તેવી અમારી માગ છે. મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે. આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ. સરકાર ગમે તે હોય અમે હંમેશા હિન્દુઓની સાથે જ છીએ.
વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ
મહંતે કહ્યું કે, પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે. મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે. સરકાર હિન્દુ હિતની વાત કરીને વોટ માગે છે. બીજી તરફ મંદિર તોડવાની વાત કરે છે. આ બેધારી નીતિ વિરોધાભાષી છે. જેને પ્રજા ધ્યાનમાં જરૂરથી લેશે.

