ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા જયનારાયણ વ્યાસના ઉવાચ- GST તંત્ર ખાડે ગયું ગરીબ-મધ્યમવર્ગના ભાગે 97 ટકા ટેક્સ

જે તે વખતે ગુજરાત સરકારમાં નંબર ટૂ ગણાતા અને હાલમાં ભાજપનો કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડનારા જયનારાયણ વ્યાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેણે કહ્યું કે, ભારતમાં ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે અને જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોધુ બની રહ્યું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે.
વિકાસ દર ઘટ્યો
સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની પત્રકાર પરિષદમાં જયનારાયણ વ્યાસે ભાજપના રાજમાં ભારતીય અર્થતંત્ર સરકારની નીતિના કારણે નબળું પડી રહ્યું હોવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતને વિશ્વની ત્રીજા નંબરની અથવ્યવસ્થા બનાવવા માટે દાવો કરવામાં આવે છે પરંતુ ક્યારે બશે તે સમય બતાવવામાં આવતો નથી. જોકે. તેની સામે હાલમાં દેશનો વિકાસ દર તળીયે આવી રહ્યો છે. કોવિડ વખતે માઈનસ 5.8 વિકાસ દર હતો પરંતુ ત્યારબાદ વિકાસ દર 9.7 ટકા થયો હતો અને હવે આગામી દિવસોમાં 6.6 ટકાથી ઓછો થાય તેવો અંદાજ છે.
જીએસટી તંત્ર ખાડે ગયુ
જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે તેનું કારણ જણાવતા તેઓએ કહ્યું હતું કે, ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ટ્રકચર કેન્દ્ર સરકાર નિભાવે છે. જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ લાગું કરવામાં આવ્યો છે જ્યારે માત્ર ત્રણ ટકા ટેક્સ ધનવાનો પર લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ખાદ્ય પદાર્થમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોંધુ બની રહ્યું છે.

