Suratના ઉધનામાં 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો, ખાડી કિનારે ઝાડ પરથી મળ્યા મૃતદેહ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક કરુણ ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ ઘરથી થોડે દૂર ખાડી કિનારે આવેલા ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છેલ્લા બે દિવસથી ગુમ બંને પ્રેમીપંખીડાના મૃતદેહ એક જ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બંને બે દિવસથી ગુમ હતા
મળતી માહિતી અનુસાર, રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે ગુરુવારે (13મી ઓગસ્ટ) સવારે લોકોએ ઝાડ પર બે મૃતદેહ લટકતા જોતા જ પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઉધના પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
મજૂરીકામ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો
તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મૃતક યુવક મૂળ દાહોદનો વતની હતો અને દોઢ મહિના પહેલા જ રોજીરોટી અર્થે સુરત આવ્યો હતો. તેના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. જ્યારે મૃતક સગીરાની ઉંમર 16 વર્ષની હતી. છેલ્લા એક મહિનાથી બંને સાથે મજૂરીકામ અર્થે જતા હોવાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, જેની પરિવારજનોને કોઈ કલ્પના નહોતી. છેલ્લા બે દિવસથી બંને ગુમ હોવાથી પરિવારો ચિંતાતુર બનીને તેમની શોધખોળ કરી રહ્યા હતા, જે દરમિયાન આ કરુણ અંત સામે આવ્યો હતો.

