Video: ખેડબ્રહ્મામાં અરવલ્લી પર્વતમાળા બચાવવા યોજાયું જન સંમેલન, ઉગ્ર આંદોલન કરવાની ચિમકી
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્માના ખેરોજમાં અરવલ્લી પર્વતમાળામાં ખનન મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી.
કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી
સુપ્રીમ કોર્ટના આદેશ સામે આદિવાસી સમુદાય આક્રમક બન્યો છે. અરવલ્લી ગિરિમાળાઓ પરના આદિવાસીઓના રહેઠાણો પર જોખમ ઊભું થશે તેવો ભય વ્યક્ત કરાયો છે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આવનારા દિવસોમાં અરવલ્લી બચાવો અભિયાન હેઠળ ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
'ખનીજ માફિયાઓ માટે રેડ કાર્પેટ'
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, 20 નવેમ્બર 2025ના રોજ થયેલી એક કાનૂની પ્રક્રિયાના સંદર્ભમાં અરવલ્લીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો મુજબ, જે પહાડોની ઊંચાઈ 100 મીટરથી ઓછી હશે તેને અરવલ્લીનો ભાગ ગણવામાં આવશે નહીં અને તેને વન રક્ષણ પણ મળશે નહીં. સરકારના આ નિર્ણયથી ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ (રેડ કાર્પેટ) બિછાવી દેવામાં આવી છે અને તેમને ખુલ્લેઆમ ખનન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
પર્યાવરણ અને જળસંકટની ભીતિ
સભાને સંબોધતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરો નથી પરંતુ પર્યાવરણના સંતુલનનો મુખ્ય આધાર છે. જો આ પહાડો તૂટશે તો નદીઓ સુકાઈ જશે અને ભવિષ્યમાં ગંભીર જળસંકટ ઊભું થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વિકાસના નામે અમે એક પણ ઈંચ જમીન આપવા તૈયાર નથી. જળ, જંગલ અને જમીનનો વિનાશ કરીને થતો વિકાસ અમને મંજૂર નથી.
ગાંધીનગરથી દિલ્હી સુધી આંદોલનની તૈયારી
સરકારને સીધી ચીમકી આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જો અરવલ્લીને બચાવવા માટે જરૂર પડશે તો અમે ગાંધીનગર કૂચ કરીશું. એટલું જ નહીં, રાજસ્થાન અને હરિયાણાના લોકો સાથે મળીને દિલ્હી સુધી લડત લડવા માટે પણ અમે તૈયાર છીએ. તેમણે પીએમના 'એક પેડ માં કે નામ' અભિયાનની ટીકા કરતા કહ્યું હતું કે, એક તરફ વૃક્ષો વાવવાની વાતો થાય છે અને બીજી તરફ હસદેવ અને અન્ય જંગલો ઉદ્યોગપતિઓને લૂંટવા માટે આપી દેવામાં આવે છે.

