ઇડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ ન લેવાતા પીડિતા અને પરિવારજનોએ મુખ્યમંત્રી કાર્યાલયના દ્વાર ખખડાવ્યા

ઇડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ ન લેવાતા ભોગ બનનારી મહિલા અને તેના પરિવાર જનોએ આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય અને આઇજી ઓફિસના દ્વાર ખખડાવ્યા હતા. ઇડર તાલુકાના એક ગામમાં મહિલાના ઘરે કોઈ ન હતું તે સમય દરમિયાન ગામના જ એક ઈસમે મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે મહિલાએ પોતાના પરિવારજનોને આ સમગ્ર મામલે વાત કરી હતી અને તે પરિવારજનો સાથે મોડી રાત્રે ગત શનિવારના રોજ ઈડર પોલીસ સ્ટેશન પહોંચી હતી.
જોકે ઈડર પોલીસે શનિવાર અને રવિવારની રજા હોવાનું જણાવી અને આ લોકોને સોમવારે બોલાવ્યા હતા અને સોમવારે મહિલાએ કરેલા આક્ષેપ મુજબ તેમની ફરિયાદ લેવાઈ ન હતી. ત્યારે થાકીને પીડિતાના પરિવારજનો આજે ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી કાર્યાલય તથા આઇજી ઓફિસમાં લેખિતમાં પોતાની પોલીસ ફરિયાદ લેવાય અને તેમને ન્યાય મળે તે માટેની માગણી કરી હતી. જો કે ત્યાંથી પણ તેમને આજે ઇડર પોલીસ સ્ટેશન જવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે હાલમાં દુષ્કર્મની ભોગ બનેલી મહિલા અને તેનો પરિવાર ન્યાય માટે ધક્કે ચડ્યો છે.

