Sabarkantha news: બે વિદ્યાર્થી વચ્ચે મારામારીનો વિવાદ વકર્યો, હિન્દુ સંગઠનોની સાબરકાંઠા બંધના એલાનની ચીમકી

Sabarkantha news: અમદાવાદમાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા કર્યાની શાહી સુકાઈ નથી, ત્યાં સાબરકાંઠાના વડાલીમાં પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીએ હવે આંદોલનનું સ્વરૂપ લીધું છે. તો સાથોસાથ વાલીઓ, સમાજ સહિત હિન્દુ સંગઠનોએ શાળામાં વિરોધ નોંધાવ્યો છે.
સાબરકાંઠાના વડાલીની શેઠ સી.જે હાઇસ્કુલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરનાર ધ્રુવ સગરને તેની સાથે જ અભ્યાસ કરનારા ચાર વિદ્યાર્થીઓએ માર મારતા મામલો ગરમાયો છે. જેમાં વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ ઘરે મોકલી દેવાયો છે. જો કે આ મામલાએ હવે વિવાદનું સ્વરૂપ લીધું છે અને આ મામલે ચોક્કસ પગલાં ન લેવાય તો સોમવારથી સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
માર-મારનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી લિવિંગ સર્ટી આપી દેવા માંગ
શાળામાં અભ્યાસ કરનાર વિધાર્થીને ચાર વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી અપાતા હિન્દુ સંગઠનો સહિત હિન્દુ સમાજ મેદાને આવ્યું છે. અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા સોમવાર સુધીમાં તમામ ચારેય વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી લિવિંગ સર્ટી આપી દેવા માંગ કરાઈ રહી છે. સાથોસાથ શાળાના સંચાલકો સહિત શિક્ષણ વિભાગ દ્વારા માર-મારનારા વિદ્યાર્થીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે, જો કે આવનાર દિવસોમાં આ વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે તો સોમવારે હિન્દુ સંગઠનો સહિત હિન્દુ સમાજ વડાલી સહિત સાબરકાંઠા જિલ્લામાં બંધના એલાન સહિત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

