હિંમતનગર સિવિલમાં વધુ એક શંકાસ્પદ ચાંદીપુરમનો કેસ નોંધાયો, અત્યાર સુધી 4 બાળકના થયા છે મોત

હિંમતનગર સિવિલમાં વધુ એક શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનો કેસ સામે આવ્યો છે. અરવલ્લીના મેઘરજના ડોકવા ગામના બાળકને લક્ષણ દેખાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચાંદીપુરા વાઇરસના લક્ષણ દેખાતા સિવિલમાં ત્રણ બાળક સારવાર હેઠળ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસ જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત
હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીશીયન વોર્ડમાં ચાંદીપુરા વાયરસના સકંજામાં આવેલા 6 બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાંથી સાબરકાંઠા, અરવલ્લીના 4 બાળકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 4 બાળકોના ભેદી વાયરસથી મોત થતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સહિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓની ટીમ હિંમતનગર સિવિલ દોડી આવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે એન્ડેમીક વિસ્તાર છે. વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લા અસરગ્રસ્ત થયેલ છે.
શું છે ચાંદીપુરા વાયરસ?
ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો આવી જાય છે અને સંક્રમિત દર્દીનું મોત થાય છે. મચ્છર અને માખીઓને કારણે આ વાયરસ ફેલાય છે. .બે દિવસમાં ચાર બાળકોના મોત થતા અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

