Video/ Rajkot માં કિન્નરો વચ્ચેની મારામારીનો મામલો વકર્યો, બંને પક્ષે આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના જ્યુબિલી ગાર્ડન વિસ્તારમાં કિન્નરો વચ્ચે થયેલી મારામારીનો મામલો અત્યંત ગંભીર બન્યો છે. પરસ્પર ત્રાસ અને આક્ષેપો બાદ, આ ઘટનામાં સંકળાયેલા બંને પક્ષના કુલ સાત જેટલા કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
નિકિતાદે દ્વારા આપઘાતનો પ્રયાસ અને વિડીયો જાહેર
આ મામલામાં પ્રથમ, કિન્નર નિકિતાદે દ્વારા જ્યુબિલી ગાર્ડન પાસેની ઘટના બાદ મીરા અને મિહિર સહિત અન્ય કિન્નરો દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ત્રાસથી કંટાળીને નિકિતાદેએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હોસ્પિટલમાંથી નિકિતાદેએ એક વિડીયો જાહેર કરીને મદદની માંગણી કરી હતી. આ વિડીયોમાં તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે, "મને સારું થઈ જશે તો પણ હું ફરી આપઘાત કરીશ."
નિકિતાદેએ જે કિન્નરો ત્રાસ આપતા હોવાનો આરોપ મૂક્યો છે તેમાં નીચેના નામો લખાવ્યા છે:
- ખુશ્બુ દે
- ગોપી દે
- સમીરા દે
- બીલયાદ મીરા દે
- ગોપી દે મીરાંદે
- ટીની દે મીરા દે
- કલપુ દે મીરા દે
સામે પક્ષે છ કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
જોકે, આ મામલો ત્યારે વધુ વકર્યો જ્યારે નિકિતાદેએ જેના નામ લખાવ્યા હતા, તેમાંથી છ જેટલા કિન્નરોએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો. ગત રાત્રે આશરે 2 વાગ્યે, તમામ છ કિન્નરોએ જામનગર રોડ પર ફિનાઇલ પી લીધું હતું. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કિન્નર સમાજમાં વ્યાપેલી આંતરિક કલહ અને પરસ્પરના ગંભીર આક્ષેપો બાદ બનેલી આ સનસનીખેજ ઘટનાને પગલે, પોલીસે સમગ્ર મામલે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પોલીસ બંને પક્ષના નિવેદનો અને આક્ષેપોની સત્યતા ચકાસી રહી છે.આ સમગ્ર મામલે રાજ્યસભા સાંસદની આ પહેલથી હવે કેન્દ્ર સરકારના સ્તરેથી કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.
મીરાદેએ મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું
જ્યુબિલી ગાર્ડન પાસે કિન્નરો વચ્ચે થયેલી મારામારી અને ત્યારબાદ બંને પક્ષ દ્વારા સામૂહિક આપઘાતના પ્રયાસના ગંભીર મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. નિકિતાદે દ્વારા જેના પર ત્રાસ આપવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, તે મીરાદેએ મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું છે અને નિકિતાદે પર ગંભીર પ્રતિઆક્ષેપો કર્યા છે.
'ગાંજો અને ડ્રગ્સ લઈ હેરાન કરે છે'
મીરાદેએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, "નિકિતાદે અને તેના સાથીઓ અમારા કિન્નરોને અવારનવાર ગાંજો અને ડ્રગ્સ લઈને હેરાન કરે છે. આજે તેમની હેરાનગતિને કારણે જ અમારા કિન્નરોને દવા પીવાનો (આપઘાતનો પ્રયાસ) વારો આવ્યો છે."
ગાદી છીનવવાનો વિવાદ: મીરાદે
મીરાદેએ આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ 'ગાદી' હોવાનું જણાવ્યું છે. "હું રાજકોટની ગાદી પતિ છું. નિકિતાદે મારી આ ગાદી છીનવવા અને પોતે ગાદી પતિ બનવા માટે આ પ્રકારે કૃત્યો કરી રહી છે." મીરાદેએ આક્ષેપ કર્યો છે કે નિકિતાદે જાણી જોઈને તેમને બદનામ કરવા અને તેમની પાસેથી રાજકોટની કિન્નર સમાજની ગાદી છીનવી લેવાના ઉદ્દેશથી આ પ્રકારની બબાલ અને આપઘાતના પ્રયાસ કરી રહી છે.
બંને પક્ષો દ્વારા અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી, પોલીસે આ સમગ્ર મામલે ડ્રગ્સના ઉપયોગ અને ગાદી વિવાદ સહિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

