Morbiમાં સોની યુવકની હત્યાના Rajkotમાં ઘેરા પ્રત્યાઘાત; વેપારીઓએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ
મોરબીમાં સોની યુવકની હત્યાના પડઘા હવે રાજકોટમાં પણ પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટના સોની વેપારીઓ કોઠારીયા નાકે એકઠા થયા હતા અને રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ મોરબી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી તેમનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી છે.
સીટિંગ મંત્રીના હોમ ટાઉનમાં જ વેપારીઓ અસુરક્ષિત હોવાના આક્ષેપ સાથે સમગ્ર સોની સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મોરબીમાં સોની બજાર સજ્જડ બંધ રહ્યું
માત્ર વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં બે શખ્સોએ જાહેરમાં જતીન સોની નામના યુવાનની હત્યા કરી હતી, જેને લઈને સોની સમાજમાં ભારે રોષ હતો. ગઈકાલે 20 ફેબ્રુઆરીએ સોની સમાજના યુવકની હત્યાના વિરોધમાં મોરબીના સોની બજારે સદંતર બંધ પાળ્યું હતું. વેપારીઓએ હત્યારાઓને વહેલી તકે પકડવા અને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

