Rajkot/ TRP અગ્નિકાંડમાં ફાયર ઓફિસર રોહિત વિગોરાની અરજી સુપ્રીમે ફગાવી

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસના આરોપી ફાયર ઓફિસર રોહિત વિગોરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણયને કારણે હવે આરોપી વિગોરા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ (Culpable Homicide Not Amounting to Murder) ની કલમ હેઠળ ગુન્હાનો કેસ ચાલુ રહેશે.
કલમ હટાવવાની અને બિનતહોમતદાર છોડી મૂકવાની માગ
આરોપી ફાયર ઓફિસર રોહિત વિગોરાએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરીને બે માગણીઓ કરી હતી: પ્રથમ તેમના પર લાગેલી સાપરાધ મનુષ્ય વધની કલમ (IPC 304) હટાવવામાં આવે. અને તેમને આ કેસમાંથી બિન તહોમતદાર (discharge) છોડી મૂકવામાં આવે.
જોકે, સુપ્રીમ કોર્ટે આરોપીની આ બંને માગણીઓ સાથેની પીટીશનને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
અગાઉ સેશન્સ કોર્ટમાં પણ મળી હતી નિષ્ફળતા
નોંધનીય છે કે આરોપી રોહિત વિગોરાએ અગાઉ પણ સેશન્સ કોર્ટમાં આ જ માગણીઓ સાથે અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે પણ તેમની પીટીશન નામંજૂર કરી દીધી હતી. સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળતા આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં સુપ્રીમ કોર્ટે પણ આરોપીની અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે રાજકોટ TRP અગ્નિકાંડના ગુન્હામાં આરોપી ફાયર ઓફિસર રોહિત વિગોરા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો કેસ નિયમ મુજબ આગળ વધશે.

