Video: 'પોલીસ દ્વારા આરોપીઓને બચાવવાનો પ્રયાસ થતો હતો', ગણેશ ગોંડલને ક્લીનચીટ મામલે ફરિયાદી પક્ષના વકીલના ગંભીર આક્ષેપ
ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મોતના કેસમાં ગણેશ ગોંડલને ક્લીનચીટ મામલે ફરિયાદી પક્ષના વકીલે તપાસ એજન્સીઓ અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. એડવોકેટ દિનેશ પાતરેએ દાવો કર્યો કે પોલીસ અને એસપી દ્વારા શરૂઆતથી જ આરોપીઓને બચાવવાનો પ્રયાસ થતો હતો અને ઉતાવળે તેઓને ક્લીનચીટ અપાઈ છે. આરોપીઓએ SITની તપાસમાં સહકાર ન આપ્યો અને પુરાવાઓનો નાશ કર્યો હોવાનો વકીલનો ગંભીર આરોપ છે.
ગેરમાર્ગે દોરવા માટે જૂનો રિપોર્ટ વાયરલ કરાયો હોવાનો દાવો
વધુમાં તેઓએ જણાવ્યું કે માત્ર અડધા જ CCTV ફૂટેજ જાહેર કરાયા છે, ઘટના પહેલા અને પછીના આખા ફૂટેજ હજુ સુધી દબાવી રખાયા છે. પૂરતા પુરાવાના અભાવે અને આરોપીઓના અસહકારને કારણે જ SIT દ્વારા ક્લીનચીટ અપાઈ છે, હાઈકોર્ટે હજુ કોઈ ક્લીનચીટ આપી નથી. ફરિયાદી પક્ષ હજુ પણ હાઈકોર્ટમાં પોતાના મજબૂત પુરાવાઓ રજૂ કરશે અને ન્યાય માટે કાનૂની લડત લડશે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો SITનો ક્લીનચીટ રિપોર્ટ જૂન મહિનાનો હોવાનો વકીલનો દાવો છે. હાલ કોર્ટની કોઈ તારીખ ન હોવા છતાં માત્ર લોકોનું ધ્યાન ભટકાવવા અને ગેરમાર્ગે દોરવા માટે જ જૂનો રિપોર્ટ વાયરલ કરાયો હોવાનું તેઓએ જણાવ્યું છે.

