Rajkot news: ફરી એક વાર અજ્ઞાત જંતુનો આતંક; ત્રણ લોકોને કરડતા સારવાર હેઠળ, ગામમાં ભયનો માહોલ

જામકંડોરણાના ધોળી ધાર અને જેતપુરના ઉમરાળી ગામમાં અજ્ઞાત જંતુનો આતંક જોવા મળી રહ્યો છે. ધોળી ધારમાં ત્રણ લોકોને ઝેરી જંતુ કરડતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. તંત્ર દ્વારા ગામમાં દવા છંટકાવની કામગીરી શરૂ કરાઈ છે.
તંત્ર દ્વારા ગામમાં દવા છંટકાવની કામગીરી શરૂ કરાઈ
પાટણવાવ બાદ હવે જામકંડોરણાના ધોળી ધાર અને જેતપુરના ઉમરાળી ગામમાં એક અજ્ઞાત જંતુએ દેખા દીધી છે. ધોળી ધારમાં ત્રણ લોકોને ઝેરી જંતુ કરડતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આ ત્રણેયને ગોંડલની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. પ્રભાબેન ગોવિંદભાઇ રાણપરીયા, હંસાબેન ધીરુભાઈ કુંવાડિયા અને નાનજીભાઈ લાલજીભાઈ રાણપરીયાને જંતુ કરડતા તેઓ ગભરાઈ ગયા હતા. અજ્ઞાત જંતુ કરડ્યા બાદ આ દર્દીઓને બે કલાક બાદ બળતરા અને લાલ ચોકઠાં થવા લાગ્યા હતા. આ સાથે ઝેરી જંતુ કરડ્યા બાદ પગમાં ફોલ્લા પણ પડી જાય છે. તમામ દર્દીઓના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ડોકટરોને આ જંતુના બેક્ટેરિયા વિષે ખબર પડશે. હાલ તો તંત્ર દ્વારા ગામમાં દવા છંટકાવની કામગીરી શરૂ કરાઈ છે. અજ્ઞાત જંતુના આતંકથી ગામમાં ભયનો માહોલ છે.

