રાજકોટ: લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા મામલે કોળી સમાજના ધરણા, કરી આ માંગણી

રાજકોટમાં ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે કોળી સમાજ ધરણા પર બેઠો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ મામલે ફરીયાદ કરનાર ઘનશ્યામ ભાઈ રાજપરાની ત્રણ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. જેમાં સાત શખ્સો દ્વારા કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેને અનુક્રમે આજે વિંછીયા સેવા સદનમાં પરિવારજનો ધરણાપર બેઠાં. આ ધરણા કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેને લઈને વિંછીયા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ પણ વાંચો : રાજકોટ: વક્ફ બોર્ડના નામે મિલકત પડાવવાનું ષડયંત્ર, દુકાન પર કબ્જો કરી સામાન બહાર ફેંકી દીધો
વિછીયા પોલીસ તેમજ LCB-SOG સહિતની ટીમે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં એક આરોપીની ધરપકડ થઈ છે જ્યારે અન્ય આરોપીઓ હજી પણ પોલીસની પકડથી દૂર છે. પરિવારજન અને સમાજના લોકો દ્વારા તમામ આરોપીને તાત્કાલિક પકડી સરઘસ કાઢવાની માંગ કરાઈ હતી. પરિવારજનો દ્વારા હજુ મૃતદેહને સ્વીકારવામાં આવ્યો નથી. આગાવનો સહિત સમાજના લોકોએ આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

