રાજકોટ : જેતપુરમાં દારૂની પાર્ટીમાં ઝઘડા બાદ માથા પર પથ્થરના ઘા મારી મિત્રએ કરી મિત્રની હત્યા

રાજકોટના જેતપુરમાં દારૂ પાર્ટીમાં થયેલા ઝઘડાનો ખાર રાખી મિત્રએ જ મિત્રની પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. સાડીના કારખાનામાં ઝઘડો થતાં હાજર ચોકીદારે બંનેને બહાર કાઢી મૂક્યા હતા. જોકે મોડી રાત્રે મિત્રના સૂઈ જવાની રાહ જોઈને બેઠલા આરોપીએ યુવકને ઘેરી નિદ્રામાં જ માથા પર પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
રાત્રે સુઈ ગયા બાદ માથા પર પથ્થરના ઘા માર્યા
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સૌભાગ્ય નામના સાડીના કારખાનામાં આ ઘટના બની છે. અહીં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશનો પરપ્રાંતિય યુવક રોહિતકુમાર બંસીલાલ દોહરે (ઉં.વ 27) અને તેની સાથે રહેતો ગૌરવ નામનો યુવક બંને શનિવારે મોડી રાત્રે કારખાનામાં જ દારુ પાર્ટી કરતા હતા. આ દરમિયાન કોઈ કારણસર ઝઘડો થતાં અહીં હાજર ચોકીદારે બંને યુવકોને બહાર કાઢી મૂક્યા હતા. જે બાદ રોહિતકુમાર સૂઈ ગયો હતો, જેનો લાભ લઈને મિત્ર ગૌરવે પથ્થર વડે તેના માથાના ભાગે ઉપરા છપરી ઘા મારી તેની હત્યા કરીને નાસી છૂટ્યો હતો.

રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન યુવકનું મોત
આ ઘટનાની જાણ કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોને થતાં રોહિતકુમારને પ્રથમ જેતપુર ત્યાંથી જૂનાગઢ જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન જ યુવકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.
પોલીસે હત્યારા મિત્રની કરી ધરપકડ
આ બનાવ અંગે જેતપુરમાં રહેતા મૃતક રોહિતકુમારના નાના ભાઈ પંકજકુમારના નિવેદનના આધારે પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. ઘટનાની ગણતરીની કલોકોમાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે મૂળ ઉત્તરપ્રદેશના આરોપી ગૌરવકુમાર દોહરેની ધરપકડ કરી લીધી છે. વધુમાં મૃતક રોહિતકુમાર અપરણિત હતો અને ચાર ભાઈ અને એક બહેનોમાં સૌથી મોટો હતો તેમજ છેલ્લા 10 વર્ષથી જેતપુરમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

