અનિરુદ્ધસિંહ જાડેજાને ઝટકો: પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો હાઈકોર્ટનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ રીબડાની સરકારના સજા માફીના નિર્ણયને રદ કર્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા યથાવત રાખી છે. કોર્ટે તેમને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવા, રોજેરોજ હાજરી પુરાવવા અને પાસપોર્ટ જમા કરાવવાનો હુકમ કર્યો છે.
15 ઓગસ્ટ 1988ના રોજ પોપટ સોરઠિયાની ગોળી મારી કરાઈ હતી હત્યા
15 ઓગસ્ટ 1988ના રોજ ગોંડલની સંગ્રામ સિંહજી હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી
ટાડા એક્ટ હેઠળ 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
આ ઘટનામાં પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. ટાડા એક્ટ હેઠળ 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2000થી લગભગ 18 વર્ષ જેલમાં ગાળ્યા બાદ, 29 જાન્યુઆરી 2018ના રોજ અનિરુદ્ધસિંહના પુત્રની અરજીના આધારે રાજ્ય સરકારે તેમની સજા માફ કરીને મુક્તિ આપી હતી.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ઝટકો
નોંધનીય છે કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે 19 ઓગસ્ટે અનિરૂદ્ધ સિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. આ પહેલાં કોર્ટે તેના દીકરા રાજદીપસિંહ જાડેજાની પણ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી

