Rajkot news: અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા પ્રાણીઓની ચઢાવી બલી

રાજકોટમાં અંધશ્રદ્ધાના નામે કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે વિહત માતાજીના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના સમયસરના દરોડાથી અન્ય 9 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસને સાથે રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, દરોડા દરમિયાન આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે સોલંકી પરિવાર દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાનો દીકરો બીમાર હતો તેથી તેના પિતાએ માનતા રાખી હતી અને માંડવામાં 16 પશુની બલિ ચઢાવવાની હતી. જેમાંથી 6 પશુઓની બલિ ચઢાવી દેવાઇ હતી. જોકે, સમયસર જીવરક્ષા ફાઉન્ડેશન અને પોલીસે દરોડો પાડતા અન્ય 9 પશુઓનો જીવ બચી ગયો હતો.
પોલીસ કાર્યવાહી
દરોડા દરમિયાન માંડવામાં હાજર તમામ પુરુષો ફરાર થઈ ગયા હતા અને માત્ર મહિલાઓ જ ત્યાં હાજર મળી આવી હતી. માસૂમ પશુઓની બલિ ચઢાવવાની આ ચોંકાવનારી ઘટના અંગે પોલીસે હાલમાં ગુનો દાખલ કરી દીધો છે. ફરાર થઈ ગયેલા આરોપીઓ અને ભૂવાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ સિવાય બચાવેલા જીવોને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.

