રાજકોટ: માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 8 મહિનાના બાળક સહિત 6 લોકોના મોત

Rajkot News: રાજકોટ જિલ્લામાં માલીયાસણ ગામ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 8 મહિનાના બાળક સહિત 6 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી રીક્ષા ટ્રકની નીચે કચડાઈ ગઈ હતી. આ કચડાયેલી રિક્ષામાં 2 લોકો દબાયા હતા જેમને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહનચાલકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ અને 5 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.
મૃતકોની વિગત
- શારદાબેન નકુમ (60)
- યુવરાજ નકુમ(30)
- વેદાંશી સાગર સોલંકી (8 મહિના)
- નંદની સાગર સોલંકી (25)
- શીતલ યુવરાજ નકુમ (29)
- ભૂમિ રાજુ નકુમ (22)
સારવાર હેઠળ
આનંદ સોલંકી (24) - રીક્ષા ડ્રાઇવર
રિક્ષાનો કચ્ચરઘાણ નીકળો ગયો
અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો રિક્ષાની અંદર ફસાઈ ગયા છે. હાલ બંને લોકોને બચાવવા માટે પૂરજોશમાં બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા પણ બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
દ્વારકા-પોરબંદર રોડ પર પણ થયો હતો અકસ્માત
આ પહેલા મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માત થયો હતો. કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

