Rajkot: AIIMS હોસ્પિટલમાં ડિરેક્ટર સહિતની મહત્ત્વની 4 જગ્યાઓ લાંબા સમયથી ખાલી: કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP Naddaને કરાઈ રજૂઆત

રાજકોટ ખાતે આવેલી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલમાં પ્રમુખ, ડિરેક્ટર સહિતની મહત્ત્વની ચાર જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે. આ ખાલી જગ્યાઓના કારણે હોસ્પિટલના અગત્યના નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. જેની સીધી અસર દર્દીઓ અને હોસ્પિટલ પર પડી રહી છે.
આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે મુદ્દે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાને રજૂઆત કરવામાં આવી છે. સાંસદે દિલ્હી ખાતે જે. પી. નડ્ડા સાથે રૂબરૂ મુલાકાત કરી, આ જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરી છે. હોસ્પિટલમાં પ્રમુખ અને ડિરેક્ટર જેવી અગત્યની જગ્યાઓ ખાલી હોવાથી હોસ્પિટલની કામગીરી પર નકારાત્મક અસર પડી રહી છે. તેમણે આ ચારેય ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરી, જેથી હોસ્પિટલની કામગીરી સુચારુ રીતે ચાલી શકે
ડો. વલ્લભ કથિરિયાનું માત્ર ચાર દિવસમાં રાજીનામું
રાજકોટ એઇમ્સના પ્રમુખ તરીકે ડો. વલ્લભ કથિરિયાની 16 ઓગસ્ટ, 2023ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. જોકે, માત્ર ચાર દિવસ બાદ, 20 ઓગસ્ટ, 2023ના રોજ તેમણે રાજીનામું આપી દીધું હતું, જે 25 ઓગસ્ટ, 2023ના રોજ સરકાર દ્વારા સ્વીકારવામાં પણ આવ્યું હતું.

