VIDEO: ગુજરાતમાં રથયાત્રા પૂર્વે મોટો પર્દાફાશ: સિદ્ધપુરમાં ATSનું મેગા ઓપરેશન
ગુજરાતમાં રથયાત્રાના પર્વ પૂર્વે કોઈ મોટી અઘટિત ઘટનાને અંજામ આપવાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ (ATS) અને મધ્યપ્રદેશ એટીએસ દ્વારા સંયુક્ત રીતે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને વધુ ૫ જેટલા શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. પકડાયેલા તમામ શંકાસ્પદ ઇસમો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને એટીએસની ટીમોએ મોડી સાંજ સુધી સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ પૂર્વે સિદ્ધપુરમાંથી ૩, પાલનપુરમાંથી ૩ અને ચીખલીમાંથી ૧ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓના તાર સિદ્ધપુરમાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા જ તપાસનો દોર તેજ કરાયો છે. ઓપરેશન દરમિયાન એટીએસ દ્વારા સિદ્ધપુરના ચાટાવાડા ગામના આતંકી મોહમદ અમીન શેરાના ઘરે પણ તપાસ અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી. મોહમદ અમીન શેરાએ ખરીદેલા શંકાસ્પદ સામાનના પુરાવા એકત્રિત કરવા માટે એટીએસ દ્વારા ઝાપલીપોલ સહિતના સ્થાનિક બજારોમાં તપાસ લંબાવવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલી આ પૂછપરછ અને તપાસના આધારે આગામી દિવસોમાં આ આતંકી નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.

