Panchmahal news: લગ્ન નોંધણી કૌભાંડ કેસમાં તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ, રજીસ્ટ્રેશન કરાવનાર યુગલો સામે પણ થશે કાર્યવાહી

પંચમહાલ જીલ્લાથી ઉત્તર ગુજરાત સુધી ચાલતા લગ્ન નોંધણી કૌભાંડમાં જાંબુઘોડાના કણજી પાણી ગામના તલાટીનો ભાંડો ફૂટતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા તલાટી તેમજ લગ્ન નોંધણી કરાવનાર જોડા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
નોંધણી કરાવનાર યુગલ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ
જાંબુઘોડાના કણજી પાણી ગામના તલાટી અર્જુન મેઘવાલ દ્વારા વર્ષ 2025માં જ અઢી હજાર લગ્નની નોંધણી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના યુવક યુવતીઓના લગ્નની નોંધણીની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. તલાટી અર્જુન મેઘવાલ એક લગ્નની નોંધણી પાછળ રૂપિયા અઢી હજાર લેતો હોવાનો અને તે પૈસાથી રાજસ્થાનમાં જમીનો ખરીદતો હોવાનો વિડિઓ વાઇરલ થયા બાદ પંચમહાલમાં ચાલતા લગ્ન નોંધણી કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં ઊંઝા પોલીસે ગુનો નોંધીને ફરિયાદને જાંબુઘોડા પોલીસ પાસે મોકલી આપતા સસ્પેન્ડેડ તલાટી અર્જુન મેઘવાલ તથા તેની પાસે લગ્ન નોંધણી કરાવનાર યુગલ સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

