Video/ Panchmahalની યુનિ.માં પ્રોફેસરોની મનમાની, પેપર તપાસ્યા વગર પાછા મોકલ્યા!, વિદ્યાર્થીઓના પરિણામના વિલંબ
ગોધરા: પંચમહાલની પ્રતિષ્ઠિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી સંચાલિત વિવિધ કોલેજોના હજારો વિદ્યાર્થીઓ જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે પરિણામોમાં પ્રોફેસરોની ગંભીર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ?
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી BA, B.Com, BBA, B.Sc અને LLB સેમેસ્ટર-5 ની પરીક્ષાઓ પૂર્ણ થયે 45 દિવસથી વધુ સમય વીતી ગયો છે. નિયમ મુજબ પરિણામ જાહેર થઈ જવું જોઈએ, પરંતુ હજુ સુધી હજારો વિદ્યાર્થીઓ અંધારામાં છે. આ વિલંબ પાછળનું કારણ એ છે કે યુનિવર્સિટીના પ્રોફેસરોએ અંદાજે 11,000 જેટલી ઉત્તરવહીઓ (પેપર) તપાસ્યા વગર જ યુનિવર્સિટીને પરત મોકલી દીધી છે!
વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ
સેમેસ્ટર-5 એ સ્નાતક કક્ષાનું અંતિમ વર્ષ હોવાથી આ પરિણામ વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનું છે. ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલવાના પ્રોફેસરોના આ વલણથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને મુંઝવણ જોવા મળી રહી છે. પરિણામ પ્રક્રિયા પર સવાલો ઉભા થયા છે કે શું યુનિવર્સિટી તંત્રનો પ્રોફેસરો પર કોઈ અંકુશ નથી?
યુનિવર્સિટી દ્વારા એક્શન: પ્રોફેસરોને નોટિસ
એક તરફ વિદ્યાર્થીઓ પરિણામ માટે રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું છે. પેપર તપાસવામાં આળસ દાખવનાર અને બેદરકારી દાખવનાર અધ્યાપકોને યુનિવર્સિટીએ કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારી છે. જોકે, માત્ર નોટિસથી વિદ્યાર્થીઓનો જે સમય બગડ્યો છે તેની ભરપાઈ કેવી રીતે થશે તે મોટો પ્રશ્ન છે.

