Panchmahal news: રોપ વે દુર્ઘટના મામલે તપાસ સમિતિ રચાઇ, રિપોર્ટ બાદ જવાબદારો સામે થશે કાર્યવાહી

સોર્સ : GSTV
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે સામાન લઈ જતા રોપ વેનું દોરડું તૂટી જતાં 6 લોકોના મોત થયા છે. ઘટનાના બીજા દિવસે તપાસનો દોર શરૂ થયો છે અને કલેકટરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાની તપાસ માટે ઇજનેરોની એક તપાસ સમિતિની પણ રચના કરાઈ છે.
ઈજનેરોની ટીમ કરશે સઘન તપાસ
પંચમહાલમાં જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાવાગઢ પર્વત ઉપર સામાન લઈ જતી લીફ્ટ- રોપ વેનું દોરડું તૂટી જતાં આ દુર્ઘટના સર્જાતા 6 લોકોના મોત થયા હતા. આજરોજ જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટનાની સઘન તપાસ કરવા તપાસ ટીમની રચના કરાઈ છે. તપાસ ટીમમાં જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, ટેકનિકલ ઇજનેરો અને મિકેનિકલ ઇજનેરોને સમાવેશ કરાયો છે. રિપોર્ટ આપ્યા બાદ જો કોઈની જવાબદારી સામે આવશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

