Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : After the Collector's order, the dispute over the ownership rights of 265 temples and 2511 villages in Gujarat will again reach the High Court

Panchmahal news: ક્લેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: ક્લેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે
સોર્સ : GSTV

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે જાણીતા પાવાગઢનું મહાકાળી મંદિર, ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, નડિયાદ અને વડતાલના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર સહિત ગુજરાતના 265 મંદિરોની માલિકી હક્ક ઉપરાંત ગુજરાતના 2511 ગામોની માલિકી હાલ ચાંપાનેર-માંચીના રાજવી પરિવારના વંશજ ઠાકોર રાજેન્દ્રસિંહ માનસિંહ ધરાવે છે. જે અંગે તેઓ 1984થી કાનૂની લડત આપી રહ્યા છે. જેમાં વર્ષ 2017, 2018માં હાઇકોર્ટ કરેલા હુકમનો અમલ કરાવવા માટે છેલ્લા 7 વર્ષથી વહીવટી તંત્ર પાસે રજૂઆત કરી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં પંચમહાલ જિલ્લા કલેક્ટરે હાઇકોર્ટના હુકમનો અમલ નહી કરવા અંગે પ્રાંત અધિકારીનો હુકમ યથાવત રાખવા આદેશ કરતા રાજેન્દ્રસિંહ ઠાકોર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ફરી એકવાર હાઇકોર્ટમાં કાનૂની લડત આપશે તેમ જાણવા મળે છે.

App Store

ઐતિહાસિક સંદર્ભ

બ્રિટિશ શાસનમાં રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં 17મી સપ્ટેમ્બર 1872ના સરકારના ઠરાવ નં. 4656 મુજબ ગોધરા(જૂના)ના 17 તાલુકાના 2511 ગામો અને 25 મંદિરોના માલિકી હક્ક ચાંપાનેરના રાજવી ઠાકોર પ્રતાપસિંહ નાહરસિંહના પૌત્ર અંદેશી રામસિંહ ઓધાર(ઠાકોર) ધરાવતા હોવાનો ધ સેક્રેટરી ઓફ સ્ટેટ કાઉન્સિલે 16 ઓક્ટોબર, 1884ના રોજ મંજૂર કર્યો હતો. ત્યારબાદ 14મી ફેબ્રુઆરી, 1942ના રોજ કોર્ટ એન્ડ મુંબઈ સેશન બોરિવલી, ગુજરાત, પંચમહાલની બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટમાં તમામ સંપત્તિ પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે અદેશસિંહ રામસિંહના પૌત્ર માનસિંહ કેસરસિંહના નામે કરી હતી.

આઝાદી બાદ 22મી ડિસેમ્બર 1949ના રોજ બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટ પ્રમાણે માનસિંહ કેસરીસિંહના નામે જ તમામ સંપત્તિ પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે દર્શાવી છે. જે આધારે ઠાકોર માનસિંહ 1952માં તેમની તમામ સંપત્તિના વારસ તરીકે તેમના એક માત્ર સંતાન 5 વર્ષીય પુત્ર ઠાકોર રાજેન્દ્રસિંહના નામે કરી હતી.

1984થી શરૂ થયેલી કાનૂની લડત: બાપ-દાદાની અઢળક સંપત્તિ મેળવવા દાયકાઓથી સંઘર્ષ

રાજેન્દ્રસિંહે પોતાની બાપ-દાદાની સંપત્તિ મેળવવા 1984થી કાનૂની લડત શરૂ કરી. નાથુભાઈ ગવાભાઈ આદિવાસીએ પણ કોર્ટમાં એફિડેવિટ કરી આપ્યું કે રાજેન્દ્રસિંહ જ ઠાકોર માનસિંહના પુત્ર અને ચાંપાનેરના રાજવી પુત્ર છે. ત્યારબાદ 1989માં હાલોલ કોર્ટમાં મિલકત મેળવવા દાવો કર્યો. રાજેન્દ્રસિંહે ગોધરા, ચાંપાનેર ગ્રામ પંચાયતમાં પણ અરજીઓ કરી પરંતુ સરકારી તંત્ર તેમની પર ધ્યાન આપી રહ્યું નથી.

ધ બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટના હુકમ પ્રમાણે ચાંપાનેર ગ્રામ પંચાયતના 1977-78ના 7/12ના ઉતારામાં પણ સંતરામ મંદિર(એન્ટ્રી નં. 1803), ડાકોરનું રણછોડરાયનું મંદિર નડિયાદ(એન્ટ્રી નં. 1993) અને વડતાલ સ્વામિનારાયણ મંદિર(એન્ટ્રી નં. 1729) આ ચારેય મંદિરો પાવાગઢ હસ્તે મૂળ માલિક રાજેન્દ્રસિંહ માનસિંહ તરીકેની નોંધ છે.

આ અંગે રાજેન્દ્રસિંહ માનસિંહ ઠાકોરના કુલમુખત્યાર વિરજીભાઈ કામોલે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે, વર્ષ 2017માં હાઇકોર્ટ જજ સોનિયાબેન ગોકાણી અને વર્ષ 2018માં જજ એ.જે. દેસાઇના હુકમ પ્રમાણે મિલકતોમાં બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છતાં આ જમીનોના વિવાદોમાં મામલતદાર હાલોલ દ્વારા તા. 19-2-2019ના હુકમ કરી માનસિંહ ઠાકોરને વાદગ્રસ્ત જમીન માલિક તરીકે જાહેર કરી એન્ટ્રી રદ્દ કરી હતી. આ મામલતદારનો હુકમ પ્રાંત અધિકારી હાલોલ દ્વારા તા. 5-4-2021ના રોજ યથાવત રાખવામાં આવ્યો એજ રીતે તા. 6-2-2026ના રોજ જિલ્લા કલેકટરે પણ પ્રાંત અધિકારીનો હુકમ યથાવત રાખવા હુકમ કર્યો હતો.

માનસિંહ ઠાકોરે સલામતી માટે પોતાના રાજકુમારની આદિવાસી પરિવારને ઉછેર કરવાની જવાબદારી સોંપી

મિલકતોના ચાલતા વિવાદમાં રાજવી પરિવારના મોભી માનસિંહ ઠાકોર પહેલી એપ્રિલ, 1956ના રોજ તેઓ જયપુર જતાં હતા ત્યારે અચાનક તેમની તબિયત વધુ બગડતાં તેઓ પાછા ફર્યા અને ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામના આદિવાસી નાથુભાઈ ગવાભાઈના ઘરે પહોંચ્યા. ઠાકોર માનસિંહને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ હવે વધુ જીવી શકે તેમ નથી તેથી તેમણે તેમના 9 વર્ષીય રાજકુમાર - રાજેન્દ્રસિંહની ઉછેરની તમામ જવાબદારી નાથુભાઈને આપી અને ખાસ કહ્યું કે મારા મૃત્યુ પછી મારી સંપત્તિ માટે કોઈ મારા પુત્રની હત્યા ન કરે તે માટે કોઈને પણ મારા પુત્ર વિશે વાત કરતાં નહિ અને તે જયારે 21 વર્ષનો થાય ત્યારે તેને બધી હકીકત જણાવજો. 'હવેથી મારા પુત્રની જવાબદારી તમારી' કહીને ચાંપાનેરના રાજવી ઠાકોર માનસિંહે ધાવડીયા ગામમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ત્યારબાદ રાજેન્દ્રસિંહ આદિવાસી સાથે જ રહ્યા અને મોટા થયા. નાથુભાઈએ પણ પોતાના પુત્રની જેમ રાજેન્દ્રસિંહને સાચવ્યો. રાજેન્દ્રસિંહ 21 વર્ષના થયા છતાં નાથુભાઈએ તેમની અઢળક સંપત્તિ વિશે તેમને કશી જ વાત કરી નહી. તેમને લાગ્યું કે કદાચ રાજેન્દ્રસિંહ સંપત્તિ મેળવવા જાય અને તેમના દુશ્મનો તેમની હત્યા કરી નાખશે તો સંપત્તિની સાથે પુત્રને પણ ખોવો પડશે. તેથી તેમણે હકીકત છુપાવી રાખી હતી. પણ 1984માં જ્યારે નાથુભાઈની તબિયત બગડી અને તેમના સંતાનો તેમની સંપત્તિ માટે અંદરોઅંદર ઝઘડો કરીને સંપત્તિમાંથી ભાગ મેળવ્યો ત્યારે નાથુભાઈને જ પિતા માનતા રાજેન્દ્રસિંહે પણ નાથુભાઈ પાસે પોતાનો ભાગ માંગ્યો ત્યારે નાથુભાઈ રડી પડયા અને કહ્યું કે, 'મારી પાસે તારો ભાગ નથી. તું તો અઢળક સંપત્તિનો વારસદાર છે.' ત્યારબાદ નાથુભાઈએ તમામ હકીકત રાજેન્દ્રસિંહને જણાવી હતી.

બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટના હુકમ પ્રમાણે માનસિંહ ઠાકોરની માલિકીની મિલકતો અને મંદિરોની યાદી

બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટના હુકમ નંબર 1176 પ્રમાણે પાવાગઢનું મહાકાળી મંદિર, નડિયાદનું સ્વામિનારાયણ મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર, ડાકોરનું રણછોડજીનું મંદિર, નડિયાદનું સંતરામ મહારાજ મંદિર સહિત પંચમહાલ (જૂના) ગુજરાતના 295 મંદિરોની માલિકી હક્ક તેમજ:

હાલોલ તાલુકાના 122 ગામ

કાલોલ તાલુકાના 77 ગામ

ગોધરાના 192 ગામ

ડાહોદના 119 ગામ

ઝાલોદના 151 ગામ

જાંબુઘોડાના 55 ગામ

દેવગઢ બારીઆના 184 ગામ

લીમખેડાના 242 ગામ

સંતરામપુરાના 390 ગામ

લુણાવાડાના 328 ગામ

મહેમદાવાદ કનીજના 90 ગામ

નડિયાદના 101 ગામ

આણંદ વાસદના 84 ગામ

કપડવંજના 133 ગામ

ઠાસરાના 100 ગામ

બાલાસિનોરના 90 ગામ

એટલે કે કુલ 2511 ગામોના માલિક માનસિંહ કેસરીસિંહ હોવાનું જણાવાયું છે. ઉપરાંત હાલોલ તાલુકા (જૂના) નગરપાલિકાની પડતર જમીન તથા નદી વિસ્તારની જમીન, રસ્તા, તળાવો વગેરેની કુલ 4099 એકર જમીનની માલિકી માનસિંહ ઠાકોરની છે. એટલું જ નહિ, તમામ 295 મંદિરો માટે દેવસ્થાન ધારો રદ કરવામાં આવ્યો છે. ઉપરાંત હવે પછી માલિકની પરમિશન વગર કોઈએ કોર્ટમાં કેસ દાખલ કરવો નહિ અને કરશે તો ગેરકાયદેસર ગણાશે એવો હુકમ પણ બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટે કરેલો છે. આ મિલકતો બ્રિટીશ શાસનમાં 1872માં સિંધિયા સ્ટેટ દ્વારા ઠાકોર અદેસિંહને સંપત્તિ ટ્રાન્સફરથી મળી હતી.

રાજવી પરિવારના રાજેન્દ્રસિંહે જાહેર નોટિસ આપી

રાજવી પરિવારના વારસદાર રાજેન્દ્રસિંહ ઠાકોરે સમગ્ર જમીન મિલકતના વિવાદ અંગે આખરી જાહેર નોટિસ આપી હતી. જેમાં જણાવ્યું છે કે, ચાંપાનેર સ્ટેટના રાજવીની પાવાગઢ હસ્તકની તમામ પ્રોપર્ટી જે બોમ્બે ગેઝેટમાં જણાવવામાં આવેલ તથા બોરિવલી કોર્ટ બોમ્બેમાં જણાવેલ તમામ મિલકતો અમારી માલિકીની છે. અને તે તમામ મિલકતો માટે કોઇપણ વ્યક્તિઓને કોર્ટમાં દાવા પ્રાંત કલેકટર, મામલતદાર, સિવિલ કોર્ટો, ફોજદારી કોર્ટમાં ચલાવવા માટે અત્યાર સુધી જે કોઈ પાવર ઓફ એટર્ની આપેલ હોય કે લખી લીધેલા તમામ પાવર ઓફ એટર્ની આથી અમો રદ કરીએ છીએ.

ટોપિક્સ:gstv newspanchmahal newscourtgstv