Navsari news: વિજલપોરમાં લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાયેલા બાળકનું મોત, કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને માસૂમને બહાર કઢાયો

નવસારીના વિજલપોર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે, નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે મંગળવારે સુરતના ઉઘનામાં એક 42 વર્ષીય મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આમ સુરત જિલ્લામાં લિફ્ટમાં ફસાઇ જવાથી 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે.
લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાયો બાળક
પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નિરવ એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી. સાર્થક એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો.
બાળક ફસાયાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.
હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે મૃત જાહેર કર્યો
બાળકને લિફ્ટમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.
આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે અને બાળકોની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવાની ગંભીર ચેતવણી આપે છે. આ દુર્ઘટના એક ગંભીર ચેતવણી છે. બાળકોને એકલા લિફ્ટમાં મોકલશો કે જવા દેશો નહી. કોઇ કારણોસર લિફ્ટમાં ખામી સર્જાઇ છે ત્યારે બાળક ગભરાઇ જાય છે તો ક્યારેક મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે છે.

