Navsari ભાજપમાં ભડકો; હોદ્દેદારોના ટપોટપ રાજીનામાથી ગરમાયું રાજકરણ, જાણો શું છે અસંતોષનું મુખ્ય કારણ

નવસારી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત થતાની સાથે જ ભડકો થયો છે. જલાલપોર વિધાનસભા મત વિસ્તારની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે રાજીનામાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં નવસારી અને જલાલપોર તાલુકાના કુલ 50 જેટલા હોદ્દેદારોએ કેસરિયો ખેસ ફગાવી દીધો છે, જેના કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ભાજપ માટે કપરા ચઢાણ સર્જાયા છે.
અસંતોષનું મુખ્ય કારણ: જલાલપોર અને કોળી સમાજની અવગણના
જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી જેવા મહત્વના પદ પર જલાલપોર અને નવસારી તાલુકાના પ્રતિનિધિને સ્થાન ન મળતા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા વિસ્તાર કે જે ભાજપનો ગઢ ગણાય છે, ત્યાંથી કોઈ કોળી કાર્યકરને મહામંત્રી ન બનાવતા 'અન્યાય'ની લાગણી જન્મી છે. કાર્યકરોનો આક્ષેપ છે કે તાલુકાની સતત અવગણના કરવામાં આવી રહી છે.
રાજીનામાનો આંકડો 100ને પાર જવાની ભીતિ
નવસારી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રવિ સોની સહિતના હોદ્દેદારોએ અગાઉ રાજીનામાં આપ્યા હતા. હવે આ યાદીમાં જલાલપોર તાલુકાના વધુ 50 સભ્યો ઉમેરાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ આંકડો 100ને પાર કરી શકે છે. નારાજ કાર્યકરોએ 'કમલમ' ખાતે જઈને સામૂહિક રાજીનામાં ધર્યા હતા.
નવસારી તાલુકામાંથી રાજીનામાં આપનાર મુખ્ય ચહેરા:
* રવિ સોની: પ્રમુખ
* ચેતન પટેલ: ઉપપ્રમુખ
* કમલેશ દેસાઇ: મહામંત્રી
* રવિ વાશી: સંગઠન મંત્રી
* પ્રણવ ઠાકોર: સંગઠન મંત્રી
* અર્જુન હળપતિ: ST સેલ પ્રમુખ (નવસારી તાલુકો)
* ઈશ્વરભાઈ હળપતિ: ઉપપ્રમુખ (ST સેલ)
* નરેદ્ર ભાઈ ગણપત ઠાકોર
સી.આર. પાટીલ vs જગદીશ વિશ્વકર્મા: શાસનમાં પરિવર્તન સાથે વિવાદો?
નવસારીના સાંસદ અને જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં આવી સ્થિતિ ક્યારેય જોવા મળી નહોતી. જોકે, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમમાં નવસારી જિલ્લામાં શરૂ થયેલો આ વિખવાદ હવે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેમ કે સુરતમાં પણ પ્રસરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
> શું આ વિખવાદ ચૂંટણીમાં નડશે?
> આગામી ઉનાળામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. જો આ આંતરિક વિખવાદનો વહેલી તકે અંત નહીં આવે, તો વિપક્ષને બેઠો થવાની તક મળી શકે છે. હાલ તો જિલ્લા સંગઠન આ મામલે મૌન છે, પણ કાર્યકરોનો રોષ સાતમા આસમાને છે.

