નર્મદા: ગુજરાતની જીવાદોરી કહેવાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ગુજરાતની જીવાદોરી કહેવાતા સરદાર સરોવર ડેમની જળસપાટી 128 મીટર પહોંચી છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને મધ્ય પ્રદેશના ડેમોમાંથી પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની સપાટી 128 મીટર પર પહોંચી છે. મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાયું છે, ઓમકારેશ્વરના 18, ઇન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં 1.60 લાખ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. જો કે, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધીની છે.
ગુજરાતમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 68.41 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.53 ટકા, સૌરાષ્ટ્રમાં 78.20 ટકા અને, ઉત્તર ગુજરાતમાં 51.14 ટકા અને મધ્ય ગુજરાતમાં 49.29 ટકા વરસાદ નોંધાયો છે.

