Narmada news: 'આદિવાસી બહેનોને તમામ સમાજ લઈ જાય છે, આપણાં છોકરાઓને કોઈ દીકરી નથી આપતું'; ચૈતર વસાવાનું નિવેદન

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ચૈતર વસાવાએ અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી. આ સભા દરમિયાન દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજને ટકોર કરતાં એક નિવેદન આપ્યું છે જેમાં કિંજલ દવેના નામનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 'બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો આપણી દીકરીઓને તો ઘણા સમાજના લોકો લઈ જાય છે, શીખ લેવાની જરૂર છે.' જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
કિંજલ દવેની સગાઈ અને સામાજિક બહિષ્કારનો કર્યો ઉલ્લેખ
ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાયક કલાકાર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 'થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો કલાકાર કિંજલ દવેએ કોઈ શાહ પરિવારમાં સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, સૌરાષ્ટ્રમાં સહિત બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે, બધાના ગામોમાંથી લઈ જાય છે' આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે અને એમને જ્યારે પરણવાનું હોય છે તો બીજી જાતિ વાળા આપણા લોકોને તેમની દીકરી આપે છે?
'એક ઈંચ પણ જમીન ગ્રીન કોરિડોર માટે નહીં આપીએ'
આ ઉપરાંત ચૈતર વસાવાએ સાપતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર અંગે પણ આદિવાસી સમાજને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે 'એકવાર ગ્રીન કોરિડોર બનશે. પછી આ લોકો માઈનિંગ અને ખનન માટે પરવાનગી આપશે. આપણું ભૂગર્ભ જળ તળિયે જવાનું છે, આદિવાસીઓ એક ઈંચ પણ જમીન ગ્રીન કોરિડોર માટે નહીં આપે'

