Morbi news: ભાગીદારોના ત્રાસથી વેપારીનો આપઘાત, 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ

મોરબીમાં કારખાનેદાર અશોકભાઈ પાડલિયા નામના 42 વર્ષીય યુવાને સોમવારે રાત્રે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, જે બાદ યુવકના બનેવી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા તેમના સાળાને આપઘાત કરવા માટે મજબુર કરનાર ધંધાના ચાર ભાગીદાર, અમદાવાદની એક મહિલા તેમજ મહિલાના બીજા એક પ્રેમી સહીતના કુલ 6 લોકો સામે મોરબી સીટી એ ડિવિઝન મથકે ફરિયાદ નોધાવી હતી.
ચાલુ ધંધામાં ખોટ જતાં મૃતકે રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી
પ્રકાશભાઈની ફરિયાદ મુજબ મૃતક અશોકભાઈએ આરોપી અમિત વશરામભાઈ ચાસેલા, ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજ હરખાભાઈ સાણદિયાએ લખધીરપુર રોડ પર એક કારખાનું ભાડે રાખ્યું હતું. જેમાં તમામ ભાગીદારોએ સાથે ધંધો કરી નફો નુકશાન લેતી દેતી કરતા હતા. મૃતક અશોકભાઈ રો મટીરીયલ ખરીદીનું કામ સંભાળતા હતા, ચાલુ ધંધામાં ખોટ આવતા અન્ય ભાગીદારોના કહેવાથી મૃતક અશોકભાઈએ રૂપિયાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
દેવું થઇ જતાં અશોકભાઈ આર્થિક રીતે પડી ભાંગ્યા હતા
આ દરમિયાન અશોકભાઈના પિતાને હ્રદયની બીમારી થવાથી તેની સારવારમાં રોકાયા હતા આ દરમિયાના બાકીના ભાગીદારોએ અશોકભાઈના નામે વ્યવહાર ચાલુ રાખ્યો અને રો મટીરીયલ ખરીદી ટાઈલ્સનો ધંધો ચાલુ રાખ્યો અને તેની રકમ આ ભાગીદારોએ વહેંચી લીધી પરંતુ અશોકભાઈને કશું આપવમાં આવ્યું ન હતું, જયારે પિતાની સારવાર કરી પરત ફર્યા ત્યારે સ્થિતિ એવી આવી ગઈ કે કારખાનું બંધ કરવું પડ્યું હતું.
આ દરમિયાન રૂ 5 કરોડ જેટલું પણ નુકશાન થયું તે ભાગે વહેંચી લેવાનું નક્કી થયું હતું. મૃતક અશોકભાઈએ આ તમામ દેવું પોતાની એક મકાન અને 6 એકર જમીન વહેચી ભર્યું હતું. જે તે વખતે તમામ ભાગીદારો આ રકમ પણ આપી દેશી તેવી ખાતરી આપી હતી, બાદમાં બધા પલટી મારી જતા અશોકભાઈ આર્થિક રીતે પડી ભાંગ્યા હતા.
પ્રેમિકાએ બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું
આ સમય દરમિયાન અશોકભાઈ એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. જેણે તેની સાથે પ્રેમ સંબંધનું તરકટ રચી અર્ચિતભાઈ નામના શખ્સ સાથે મળી રૂ 70 લાખ પડાવી તેમજ ખોટી ફરિયાદના નામે પણ બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. અશોકભાઈથી એક પછી એક લાગેલા ઘા સહન ન થતા આપઘાત કરવા મજબુર બન્યા હતા વધુમાં મૃતકે ઘરમાં સોમવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પહેલા મૃતક અશોકભાઈ પાડલીયાએ સ્યુસાઈડ નોટમાં સમગ્ર ઉલ્લેખ કર્યો છે અને મનીષા સાથે છેલ્લા 11 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. પ્રેમિકાની ધમકીથી કંટાળી તેમણે આપઘાત કર્યો હતો.
બનાવ અંગે મૃતક અશોકભાઈના બનેવી પ્રકાશભાઈ ભાડજાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી, જેના આધારે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

