પરપ્રાંતિયો શંકાના ઘેરામાં, વતન ઉપરાંત ગુજરાતમાં પણ મતદાન કરતાં હોવાની સંભાવના

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યુ છે. સમગ્ર પ્રક્રિયા પર ગાંધીનગરથી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ સમક્ષ એવી રજૂઆત કરાઈ છેકે, ગુજરાતમાં પરપ્રાંતિયો શંકાના ઘેરામાં છે. જેઓ રાજકીય પક્ષોના આર્શિવાદથી વતન ઉપરાંત ગુજરાતમાં પણ મતદાન કરતાં હોવાની સંભાવના છે. રાજકીય પક્ષોના ખર્ચે જ હજારો પરપ્રાંતિયો મતદાન માટે બિહાર પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.
ભાડુઆત હોવા છતાં સ્થાયી થવાનો દાવો
બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા સહિત અન્ય રાજ્યના હજારો પરપ્રાંતિયો રોજી મેળવવા માટે ગુજરાત આવે છે. ગુજરાત રાજ્યની ઔદ્યોગિક વસાહત જેમ કે, સુરત, અંકલેશ્વર, ભરુચ, કચ્છના કંડલા, વડોદરા, જામનગર સહિત અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત કોટ વિસ્તારોમાં પરપ્રાંતિયોની ભરમાર રહી છે. આ પરપ્રાંતિય કામદારો- મજૂરો ભાડુઆત તરીકે રહેતા હોવા છતાંય સ્થાયી હોવાનો દાવો કરીને ગુજરાતમાં પણ મતદાર યાદીમાં નામ સામેલ કરી લે છે. આ કારણોસર પરપ્રાંતિયો પોતાના વતનની સાથે સાથે ગુજરાતમાં પણ મતદાર તરીકે મતદાન કરતાં હોવાની સંભાવના છે.
હજારો બિહારી મતદારો મતદાન માટે વતન પહોંચ્યા
બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં સુરત સહિત અન્ય શહેરોમાંથી હજારોની સંખ્યામાં બિહારી મતદાતાઓને ટ્રેનો મારફતે મતદાન માટે બિહાર પહોંચ્યા ચૂંટણી પંચને રજૂઆત કરાઈ છેકે, ગુજરાતમાં પરપ્રાંતિયોની સંખ્યા ઘણું મોટી છે. હાલ જ્યારે SIRની કામગીરી ચાલી રહી છે ત્યારે આવા ડબલિયા મતદારો સામે ખાસ ઝુંબેશ કરી મતદાર યાદીમાંથી નામ કમી કરવા જોઈએ.
SIRની કામગીરી: 2.17 કરોડ નાગરિકોનું મેપિંગ કરાયું
ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ થયાને એક સપ્તાહ પૂર્ણ થયું છે. એક સપ્તાહના આ સમયગાળામાં 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું છે જ્યારે 3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ થયેલું છે. આ કામગીરીમાં કુલ 50963 બૂથ લેવલ ઓફિસર્સ જોડાયેલા છે. નવી મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદાર નોંધાયેલા છે.

