VIDEO: વિસનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ, બાળ દર્દી વડનગર સિવિલમાં દાખલ
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થયો છે. વિસનગર તાલુકાના એક બાળ દર્દીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવાતા તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
ચાંદીપુરા વાયરસ એ મુખ્યત્વે બાળકોને અસર કરતો એક ગંભીર વાયરસ છે, જે મગજના સોજા (એન્સેફાલીટીસ - Encephalitis) માટે જવાબદાર છે. ચોમાસા દરમિયાન અને ત્યારપછીના મહિનાઓમાં આ વાયરસનો ફેલાવો વધુ જોવા મળે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
અચાનક ખૂબ જ તીવ્ર તાવ આવવો
અતિશય માથાનો દુખાવો
વારંવાર ઉલટીઓ થવી (ગંભીર કિસ્સાઓમાં ઝાડા પણ થઈ શકે છે)
સુસ્તી ચડવી અથવા અસામાન્ય ઊંઘ આવવી (બાળક સાવ શાંત કે નિષ્ક્રિય થઈ જાય)
ચિડચિડાપણું અથવા માનસિક સ્થિતિમાં બદલાવ (ભ્રમિત થવું)
આંચકી (ખેંચ) આવવી
બેભાન થઈ જવું
ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય છે?
આ કોઈ ચેપી રોગ નથી જે એક માણસથી બીજા માણસમાં (જેમ કે ઉધરસ કે શ્વાસ દ્વારા) ફેલાય. તે વાહકો એટલે કે જીવાતોના કરડવાથી ફેલાય છે:
રેતી માખી : આ વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ 'ફ્લેબોટોમાઈન સેન્ડફ્લાય' (Sandfly) નામની નાની માખી છે. તે સામાન્ય મચ્છર કરતાં કદમાં નાની હોય છે.
કાચા અને માટીના મકાનો: સેન્ડફ્લાય સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં, કાચી દિવાલો, માટીના ઘરો અથવા તિરાડોમાં વધુ જોવા મળે છે અને ત્યાં જ ઈંડા મૂકે છે.

