ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ અરપોર્ટ પરથી ધરપકડ, બે મહિનાથી હતો ફરાર

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ગઈકાલે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી.
બે મહિનાથી ફરાર હતો કાર્તિક પટેલ
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 8થી વધુ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ છેલ્લાં બે મહિનાથી વધુ સમયથી ફરાર હતો. એવી પણ ચર્ચા હતી કે ખ્યાતિ હોસ્પિટલ કેસનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશ નાસી ગયો હતો. જોકે બાતમીના આધારે છેવટે ગઈકાલે રાતે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેને પકડી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં મુખ્ય આરોપી ગણાતા કાર્તિક પટેલના નામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. તેણે આ મામલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી પણ કરી હતી જે ફગાવી દેવામાં આવી હતી. એવા દાવા કરાયા હતા કે તે પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી ત્યાંથી દુબઈ નાસી ગયો હતો. હવે ધરપકડ બાદ હાલમાં તેમને ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રખાશે.
આ પણ વાંચો : AMCની નવી યોજના: અમદાવાદના રહીશોને આ 3 બાબતનું પાલન કરવા પર મળશે 10% ટેક્ષ રિબેટ
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે. તે શરૂઆતમાં વીડિયો કેસેટ વેચતો હતો બાદમાં બિલ્ડર લાઈનમાં જોડાયો. કોરોના સમયે તેને હોસ્પિટલમાં દાખલ થવાની જગ્યા ન મળતાં તેણે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર છે. કાર્તિક પટેલ તેની બીજી ફર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિક્યોર્ડ લોન આપી હોસ્પિટલના રોકાણ કરાવતો હતો.
ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો ખુલાસો...
થોડા દિવસો પહેલા ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યાની માહિતી અપાઈ હતી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો દાવો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી પર હોસ્પિટલના સ્ટાફને દબાણ કરીને પૈસા કમાઈ લાવી આપવાનો આરોપ હતો. ફ્રી કેમ્પના નામે ગતકડાં કરવામાં આવતા હતા.

