Mahisagar news: એસ.ટી બસમાંથી નીચે પટકાતાં પોલીસકર્મીનું મોત, ડ્રાઇવર અને કંડકટર વિરુદ્ધ ગુનો દાખલ

સોર્સ : GSTV
મોરવાથી અમદાવાદ જતી એસ.ટી બસનો દરવાજો અચાનક ખૂલી જતાં પોલીસકર્મી નીચે પટકાતાં તેનું મોત નીપજ્યું હતું. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે ખસેડાયો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
એસ.ટી બસના ડ્રાઇવર અને કંડકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મહીસાગર જિલ્લામાં એસટી બસના અકસ્માતમાં એક આશાસ્પદ પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. મોરવાથી અમદાવાદ જતી એસ.ટી બસનો દરવાજો ચાલુ ગાડીએ ખુલી જતા મુસાફરી કરી રહેલા 40 વર્ષીય રામસિંગભાઈ ભેદી ફંગોળાતા નીચે પટકાયા હતા. વાંકડીથી ગોધર તરફ જતા માર્ગ ઉપર વળાંક પર અચાનક બસનો દરવાજો ખુલી ગયો હતો. મૃતક અમદાવાદ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. સંતરામપુર પોલીસ મથક ખાતે બેદરકારી દાખવવા બદલ એસ.ટી બસના ડ્રાઇવર અને કંડકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

