VIDEO: મહિસાગરમાં 6 વર્ષ બાદ પણ 7 રસ્તાના કામ અધૂરા, કોન્ટ્રાક્ટર પર કોની છત્રછાયા?
રાજ્ય સરકાર એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરોડોના રૂપિયા ખર્ચીને સ્થાનિક ગ્રામજનોને યોગ્ય માર્ગ મળે તે હેતુસર નવીન રસ્તા નું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકાના સાત જેટલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના રસ્તાઓનો વર્ક ઓર્ડર વર્ષ 2020-21 માં શ્રીરામ બિલ્ડર્સને મળ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આ સાત રસ્તાઓમાં કામગીરી શરૂ તો કરવામાં આવી પણ તે માત્ર માટી મેટલ કરી અધુરી કરી છોડી મૂકવામાં આવ્યો. અંદાજિત 7 કરોડ ના ખર્ચે નિર્માણ થનાર આ સાત રસ્તાઓ આજે પણ 6 વર્ષ બાદ અધુરા છે. અધિકારીઓ દ્વારા નોટીસ-નોટીસનો ખેલ ચાલી રહ્યો છે અને કામ આજે પણ અધૂરું છે. કામ અધૂરું મૂકનાર આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી. નવાઈ તો ત્યારે લાગી કે શ્રી રામ બિલ્ડર્સ ને સોંપવામાં આવેલું કામ તે એજન્સી દ્વારા નિયમો નેવે મૂકી પેટા કોન્ટ્રાક્ટને બારોબાર આપી દેવામાં આવ્યું હતું. હવે તો કોન્ટ્રાક્ટર પણ બારોબાર પેટા કોન્ટ્રાક્ટ આપી જાણે સત્તાનું સુકાન સંભાળી રહ્યા હોય તેવી સ્થિતિ છે. તંત્રએ મેટલના પણ અંદાજિત બે કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવી દીધી છે. રે અધિકારીઓ દ્વારા અહીં 10 જેટલી નોટિસો આપવામાં આવી છે છતાં પણ આજે આ રસ્તો અધૂરો છે.. બીજી તરફ શ્રી રામ બિલ્ડરના માલિકો દ્વારા નવી પેઢી શરૂ કરીને નવી પેઢીના નામે કામગીરી કરતા હોય છે ત્યારે હવે આવી એજન્સીઓ સામે તંત્ર માત્ર કાગળ ઉપર જ કામગીરી કરશે કે નક્કર પગલા લેવાની હિંમત કરશે...? આ સવાલ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યો છે.

