કચ્છ, રાજકોટ અને સુરતમાં પાણીમાં ડૂબી જવાથી 4 લોકોના મોત, જાણો વિગત

આજે ગુજરાતભરના અનેક જિલ્લાઓ અને શહેરોમાં ગણપતિ બપ્પાની વિદાય કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડૂબી જવાથી મોતની ઘટનાઓના સમાચારો મળી રહ્યા છે. કચ્છના રાપરમાં 2 તેમજ સુરત એન રાજકોટમાં ડૂબી જવાથી 1-1 યુવકના મોત થયા છે.
કચ્છમાં કાનમેર નજીક યુવક-યુવતીનું મોત
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનમેર નજીક પાણીના ખાડામાં 5 લોકો ડૂબ્યાં હતા, જેમાં 3 લોકોનો બચાવ થયો હતો, જયારે એક યુવક અને એક યુવતીનું મોત થયું હતું.
રાજકોટના ત્રંબા ગામમાં ત્રિવેણી નદીમાં ડૂબી જતા 18 વર્ષના યુવકનું મોત
રાજકોટના ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન ડૂબતા ચાર લોકોમાંથી ત્રણ લોકોને બચાવાયા, જેમાંથી એકનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ત્રિવેણી નદીમાં વિસર્જન સમયે ડૂબેલા લોકોને સ્થાનિક તરવૈયાઓએ હેમખેમ બચાવી લીધા હતા. બે લોકો સારવાર હેઠળ છે. આ ઘટના બાદ મામલતદાર સહિતના અધિકારીઓ પર ત્રિવેણી નદીના ઘાટ પર પહોંચ્યા હતા. મૃતક 18 વર્ષીય લક્કી મકવાણા રુખડિયા પરા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય એક યુવાન રાહુલ રાઠોડની હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.
બારડોલી તાલુકાનાના કરચકા ગામે ડૂબી જતા 29 વર્ષીય યુવકનું મોત
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાના કરચકા ગામે ગણેશ વિસર્જનમાં યુવક ડૂબતા મોત નીપજ્યું છે. કરચતા ગામની નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી મોત થયું છે. નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ 29 વર્ષીય વિવેક સુધાકર માલી ઊંડા પાણીમાં ગરકાવ થતા તેનું મોત થયું. મૃતક યુવાન મઢી ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

