VIDEO: એક્સપ્રેસ વે ટેન્કર અકસ્માતમાં "ઓલિયમ 65" કેમિકલ ન્યુટ્રલાઈઝ કવાયત પૂર્ણ, 300થી વધુ લોકોનું સ્થળાંતરણ
ખેડા નડિયાદ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં "ઓલિયમ 65" કેમિકલને ન્યુટ્રલાઈઝ કરવા માટેની કવાયત પૂર્ણ થઈ છે. કેમિકલ ઢોળાયેલ જગ્યા પર તાત્કાલિક ધારા ધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ જગ્યામાં માટી તેમજ ચૂનો નાખીને કેમિકલ ન્યુટ્રીલાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજ્ય સરકારના નિર્ણયના પગલે જેસીબી મશીન થકી કેમિકલને માટી તેમજ ચૂના મિશ્રિત કરી દાટી દેવાઈ છે. સતત ઝેરી ધૂમાળો ઓકતા આખે આખા કેમિકલ ટેન્કરને ચૂનો અને માટીમા દફન કરી ન્યુટ્રલાઈઝ કરાયો છે. ગાંધીનગરથી GPCB ની ટીમો દ્વારા હવામા રહેલા ગેસનુ સતત મોનેટરીંગ કરાઈ રહ્યું છે.
300થી વધુ લોકોને સ્થળાંતર કરાયું
ખેડાના નડિયાદ હાઇવે પર કેમિકલ લીકેજની ઘટનાને લઇ મરીડા અને સલુણ ગામના 300થી વધુ લોકોને સ્થળાંતર કરાયું હતું. એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં "ઑલિયમ 65" નામનું કેમિકલ લીક થતા પરિસ્થિતિ વણસી હતી. મરીડા અને સલુણ ગામમાં વ્યાપક અસરને પગલે કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું. માસ્ક પહેરીને જ બહાર નીકળવા માટે ધારાસભ્ય સંજયસિંહ મહિડાની લોકોને અપીલ કરી હતી.
નડીયાદથી અમદાવાદ જતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો
એક્સપ્રેસ હાઈવે પર નડીયાદથી અમદાવાદ જતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. મહુધા ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, ડીડીઓ સહિતના અધિકારીઓ સલુણ ગામે પહોંચ્યા હતા. ગામમાં લોકોને ઉલટી થવી, ચક્કર આવવા તેમજ સ્વાસોચ્છ શ્વાસની તકલીફ થઈ રહી છે. તાત્કાલિક તમામ અધિકારીઓની ટીમને દોડતી કરાઈ હતી. આ ઉપરાંત ચાર દર્દીઓને ગેસની અસર પહોંચતા તાત્કાલિક સારવાર આપવામાં આવી, એક દર્દી હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હાલ આરોગ્ય વિભાગની 6 ટીમો કામગીરી કરી રહી છે.

