ડાકોરમાં ફાગણ મહોત્સવ નિમિત્તે કલેકટર અને રેન્જ આઇજીએ જનકલ્યાણ માટે કરી પ્રાર્થના

ડાકોર ફાગણ મહોત્સવ નિમિત્તે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના નાગરિકોના જનકલ્યાણ માટે રણછોડરાયજીને પ્રાર્થના કરી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરા જાળવી રાખી પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરાયું. કલેકટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી સવારે મંગળા આરતીમાં સહભાગી થયા હતા.
કલેકટર અને રેન્જ આઇજી મંગલા આરતીમાં થયા સહભાગી
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરીએ ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ ૨૦૨૫ નિમિત્તે ડાકોર મંદિરમાં સવારે મંગળા આરતી માં સહભાગી થઈ પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર ખેડા વાસીઓનાં કલ્યાણ માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે વર્ષો જૂની પરંપરા અનુસાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જન કલ્યાણ માટે ધજારોહણ કર્યું હતું.
કલેકટરે તમામ કૃષ્ણ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી
કલેકટરે સમગ્ર વિશ્વના કૃષ્ણ ભક્તોને ફાગણી પૂનમ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડ રાયજીનું મંદિર હોવું એ સૌભાગ્યની વાત છે. ફાગણ ઉત્સવ દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તકેદારીભરી કામગીરીને તેમણે બિરદાવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે ફાગણી પૂનમ ઉત્સવમાં ડાકોર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ આવ્યા હતા. જેમની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગની કામગીરી તેમણે બિરદાવી હતી.
રેન્જ આઇજીએ જન સુખાય માટે કરી પ્રાર્થના
આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરીએ પણ જન સુખાય અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવે, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિેત રહ્યા હતા.

